બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારની સબસીડીવાળુ બિયારણ બીજ નિગમના અધિકારીઓ અને દુકાનદારોની સાંઠગાંઠથી બારોબાર વેચાયું હોવાની ખેડૂત આલમમાંથી વ્યાપક રાડ-ફરીયાદો ઉઠવા પામી છે. જેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તો કરોડોના કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે.
બજારમાં વેચાતાં નકલી બિયારણથી જગતનો તાત ગણાતો ખેડૂત પાયમાલ થઇ રહ્યો છે. જેથી ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે ખેડૂતોને અસલી બિયારણ વ્યાજબી ભાવે મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આવા બિયારણમાં ૫૦ ટકા સબસીડી જાહેર કરી છે. જેને પ્રચંડ પ્રતિસાદ મળતાં ખેડૂતો આ સબસીડીવાળુ બિયારણ જ ખરીદે છે. જેના કારણે દીવેલા, રાઇ, જીરૂ, ઘઉં અને મગફળી જેવા પાકોનું વાવેતર પણ વધવા પામ્યું છે. જે સબસીડીયુક્ત બિયારણ સરકાર જિલ્લા વાઇઝ બીજ નિગમોને ફાળવે છે. બાદમાં બીજ નિગમના અધિકારીઓ આ બિયારણ લાયસન્સ
ધારક બિયારણના દુકાનદારોને ફાળવે છે. જેઓ આ બિયારણ ખેડૂતોને આપે છે પરંતુ સરહદી બનાસકાંઠા જિલ્લામાં બીજ નિગમના અધિકારીઓની સાંઠગાંઠથી દુકાનદારોએ બારોબાર વેચી દીધુ છે. ખેડૂતો પાસેથી પુરા રૂપિયા વસૂલી પાછળથી ખેડૂતોના ઉતારા મેળવી સબસીડી 'ચાઉંર્ કરી હોવાની રાડ ઉઠવા પામી છે. જે બાબતે જાગૃત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆતો કરાઇ છે.
જિલ્લા કલેક્ટર આ મુદ્દે ખેડૂતોના હીતમાં તટસ્થ અને ન્યાયીક તપાસ કરાવે તો વધુ એક કરોડોના કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે.