અરવલ્લી : સાબરકાંઠા જિલ્લાના વડાલીની બી.સી.શાહ આર્ટસ કોલેજ ખાતે જિલ્લાકક્ષાનો રોજગાર મેળો સાબરકાંઠાના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિલ્લા રોજગાર કચેરી અને ઔધિગક તાલીમ સંસ્થા હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે આયોજીત રોજગાર અને એપ્રેન્ટીશીપ ભરતી મેળાને ખુલ્લો મુકતા સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં તાલીમબધ્ધ માણસોની ખાસ જરૂરીયાત રહેતી હોય છે તેથી યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ મેળવી સ્વરોજગારીની દિશામાં આગળ વધવુ જોઇએ.
વધુમાં સાંસદ જણાવ્યું હતું કે, હાલનો યુગ એ સ્કીલ પાવરનો છે જેથી પોતાનામાં રહેલી આવડતનો ઉપયોગ કરી રોજગાર નિર્માણ માટે કાર્યરત રહેવું જોઇએ. તેમણે ઉમેર્યુ હતું રાજય સરકાર દ્વારા પણ યુવાનોને રોજગારલક્ષી તાલીમ મળી રહે તે માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીશશીપની યોજના શરૂ કરવામાં આવી જેમાં યુવાનોને તાલીમની સાથે ઘરે બેઠા રોજગારીનો અવસર પુરો પાડવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. રોજગાર ભરતી મેળાની રૂપરેખા આપતા રોજગારઅધિકારી પાંડોરે જણાવ્યું હતું હતું કે રાજ્ય અને જિલ્લાની જાણીતી વેલ્સપન, એશિયન ગ્રેનિટો અને અંબુજા સહિતની ૨૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો જયારે ૧૪૦૦થી વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારોને ભરતી મેળામાં સહભાગી થયા હતા.આ પ્રસંગે જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે, જિલ્લા અગ્રણી તખતસિંહ હડિયોલ, અશોક જોષી, તાલુકા વિકાસ અધિકારી મમતા પોપટ, રોજગાર અધિકારી ગઢવી સહિત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.