લાખણી તાલુકાના પેપળુ ગામે રહેતા ગુરુનો સ્વર્ગવાસ થયો હોવાના સમાચાર મળતા આઘાત પામેલો શિષ્ય તાબડતોડ ગુરુ પાસે પહોંચી ગુરુના મુખ ઉપરથી ઓસાડ ઉઠાવી ગુરુનું મુખ જોતાં જ ગુરુનો વિરહ સહન ન થઈ શકતાં ત્યાં જ ગુરુના પગલે પગલે સ્વર્ગે સિધાતાં સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
વિશ્વમાં પતિ પત્ની, લોહીના સંબંધ કે ગુરુ-શિષ્યના સંબંધનુ અનેક ઘણું મહત્વ છે. તેમજ જો સાચા હૃદયથી આ સંબંધ બંધાણા હોય તો ખુદ ભગવાન પણ આ સંબંધ તોડી શકતો નથી. જેની સાચી પ્રતિતિ કરાવતા હોય તેવો બનાવ લાખણી તાલુકાના પેપળુ ગામે બનવા પામ્યો છે.
લાખણી તાલુકાના પેપળુ ગામે મોબતરામ ભગત મૂળ ઠાકોર સમાજના છે. પરંતુ વર્ષો પહેલાથી તેઓએ ભગવો ભેખ ધારણ કરી રામાપીર ભગવાનની પૂજા અર્ચના ચાલુ કરી છે. જેઓને સમાજના લોકો ગુરુ તરીકે માને છે. પરંતુ ગુરૂ મોબતારામ અને શંભુજી દેવકરણજી ઠાકોરની જોડી સમગ્ર પંથકમાં ગુરુ-શિષ્યની જોડી તરીકે ઓળખાય છે. જેમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગુરુ મોબતારામ ભગતની તબિયત નાદુરસ્ત હતી. જેઓ તારીખ.૨૮ સપ્ટેમ્બરના રોજ સ્વર્ગવાસે સીધાવ્યા ના સમાચાર શિષ્ય શંભુજીને મળતા તેઓ આ વાત માનવા તૈયાર નહોતા. જેથી તાબડતોડ ગુરુ પાસે પહોંચ્યા હતા. જ્યાં ગુરૂના પાર્થિવ દેહ ઉપર ઓછાડ ઓઢાડેલું હતુ. તે ઊંચું કરી ગુરુના મુખનાં દર્શન કરતાં ગુરુ સ્વર્ગવાસ સિધાવ્યાનો અહેસાસ થયો હતો અને જે આઘાત સહન ન કરી શકતાં જાણે ગુરુની સેવા કરવા શિષ્ય પણ પાછળ પાછળ સ્વર્ગવાસે રવાના થયા હતા. અને અચાનક તેમના પવિત્ર આત્માએ દેહ ત્યાગ કરી દીધો હતો. જે સમાચાર સમગ્ર પંથકમાં ફેલાતા ઘેરો શોક છવાયો હતો. તેમજ ગુરુ શિષ્યનો પવિત્ર સંબંધ જોઇ બોલી ઉઠ્યા હતા કે ભગવાન પણ સાચા સંબંધને જુદો કરી શકતો નથી.