બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલ વર્ષોજુના હિંગળાજ માતાજીના મંદિરે ગત શુક્રવારે દેવ દિવાળીનો ભાતીગળ લોક મેળો યોજાયો હતો. આ મેળામાં દર્શન માટે મેળાર્થી ભાવિકોના ઘોડાપુર ઉમટયા હતા. દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલ હિંગળાજ માતાજીનું મંદિર વર્ષોજૂનું છે.કહેવાય છે કે વર્ષો અગાઉ રેલવેના ખોદકામ દરમિયાન અહીંથી હિંગળાજ માતાની મૂર્તિ મળી હતી. આ મૂર્તિ જમીનમાંથી નીકળી હોઇ આ જગ્યા ઉપર શ્રદ્ધાનો સાગર છલકાયો હતો અનેક લોકો દ્વારા અહીં માનતા અને બાધા રાખવામાં આવતી હતી. દરેક લોકોની બાધા અર્ચના પુરી થતા હિંગળાજ માતાજીને ભાવિકો શ્રદ્ધાપૂર્વક પૂજવા લાગ્યા હતા. ધનકવાડા ગામે બિરાજમાન હિંગળાજ માતા પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ મનાય છે.પાકિસ્તાન માં જેટલો મહિમા હિંગળાજ માતાનો ગવાય છે એટલો જ મહિમા ધનકવાડાના આ મંદિરનો પણ છે. ભક્તો શ્રદ્ધા પૂર્વક દૂર દૂરથી દર્શન અને બાધા માટે આવે છે.જે ભાવિકો મનથી બાધા રાખે તેમની મનોકામના પણ પુરી થાય છે.આ મંદિરે દર પૂનમના દિવસે મેળા જેવો માહોલ જામે છે અને આજુબાજુમાંથી ભક્તો દર્શન માટે આવે છે.આ મંદિરે શુક્રવારે યોજાયેલા મેળામાં પણ લાખો ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ધનકવાડા ગામના યુવાનોએ પણ ખડેપગે રહી ભાવિકોને કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખ્યું હતું. આ મેળા વખતે ગામમાં અને આજુબાજુ વસતા મુસ્લિમ બિરાદરો પણ આ મંદિરે આવી હિંગળાજ માતાજીની પૂજા કરે છે.