અંબાજી: યાત્રાધામ અંબાજીથી દાંતા વચ્ચે આવેલા ત્રિશુલિયો ઘાટ અકસ્માત ઝોનના નામે ઓળખાય છે. તેને નિવારવા માટે હાલ ચાર માર્ગીય રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે બપોરે એકવાર ફરી અકસ્માત સર્જાયો હતો. બાડમેરથી માણસા તરફ વાયા અંબાજી દાંતા થઈને પસાર થયેલી માર્બલ ભરેલી એક ટ્રક પલટી ગઈ હતી. જો કે આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ટ્રક ડ્રાયવરના જણાવ્યા અનુસાર ટ્રકમાં પથ્થરના ખંડા ભરેલા હતા અને ઉતરતા ઢાળમાં સમયસર બ્રેક ન લાગતા બ્રેક ફેલ થઈ ગઈ હતી. સામેથી વાહન આવે તે પહેલા તે ત્રિશુલિયા ઘાટમાં હનુમાનજીના મંદિર પાસે પલટી મારી ગઇ હતી.
ત્રિશુલિયા ઘાટ પર અકસ્માત નિવારવા જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી હાલમાં બનાવવામાં આવેલી પ્રોટેકશન વોલના કારણે આ ટ્રક ખાઈમાં પડતી બચી ગઇ હતી. ટ્રકના ડ્રાઇવર તથા કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. જોકે હાલમાં રોડને ચાર માર્ગી કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આવી અન્ય કોઈ ઘટના ન બને તેને લઇ જિલ્લા કલેક્ટરે 1લી ડિસેમ્બરથી અંબાજી દાતા વચ્ચેનો માર્ગ વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને ડાયવર્ટ કર્યો છે.