ચેન્નઈ: અમીનજિકરાઈમાં એક સગીરે ટેડીબેરથી મોંઢું દબાવીને પોતાની કાકીની હત્યા કરી નાખી. હત્યાને સુસાઇડમાં બદલવા માટે તેણે કાકીના હાથની નસ કાપી નાખી. પોલીસ સુસાઇડ સમજીને કેસની તપાસ કરી રહી હતી, પરંતુપાસે લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો સગીર પર શંકા થઇ. તપાસ કરતા જાણ થઇ કે તેણે જ હત્યા કરી છે. આરોપી સગીરે જણાવ્યું કે તેને કાકીએ ઠપકો આપ્યો હતો એટલે ગુસ્સામાં હત્યા કરી નાખી. પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, સગીર બાયોલોજીના ક્લાસમાં ભણ્યો હતો કે હાથની નસ કાપી નાખવાથી માણસનું મોત જલ્દી થાય છે. તેમાંથી જ શીખીને તેણે આ ઘટનાને અંજામ આપ્યો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકા તમિલસેલવીના લગ્ન શંકર સુબ્બુ નામના યુવક સાથે થયા હતા. બંનેની 13 વર્ષની દીકરી અને 4 વર્ષનો એક દીકરો છે. સુબ્બુ કરિયાણાની દુકાન ચલાવે છે.
ઘટનાના દિવસે બપોરે તે ઘરે આવ્યો તો જોયું કે તેની પત્ની તમિલસેલવીની લાશ બેડ પર પડી છે. હાથની નસ કપાયેલી છે. સુબ્બુ તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયો, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું તે તેનું પહેલાં જ મોત થઇ ચૂક્યું છે.
હાથની કપાયેલી નસ જોઇને પોલીસને પણ મામલો સુસાઇડનો લાગ્યો. પોલીસે તપાસ કરી તો ઘરની સામે લાગેલા સીસીટીવીની ફૂટેજ મળી. વીડિયોમાં જોવા મળ્યું કે ઘટનાના થોડા સમય પહેલા 10મા ધોરણમાં ભણતો 15 વર્ષનો એક છોકરો ઘરની બહાર નીકળ્યો. પૂછપરછમાં તે મૃતકા તમિલસેલવીનો ભત્રીજો નીકળ્યો.
પોલીસે આરોપી સગીરને પૂછપરછ માટે બોલાવ્યો. શરૂઆથમાં તે વાતને ગોળગોળ ફેરવતો રહ્યો. પહેલા તેણે જણાવ્યું કે હથોડી લેવા માટે કાકીના ઘરે ગયો હતો, પરંતુ પછી તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.
સગીરે જણાવ્યું કે તમિલસેલવીની દીકરી સાથે તેની દોસ્તી છે. એક અઠવાડિયા પહેલા તેણે પોતાના જન્મદિવસની પાર્ટીમાં તેમની દીકરીને બોલાવી હતી, પરંતુ તમિલસેલવીએ તેને ન મોકલી. જ્યારે છોકરાએ પૂછ્યું તો તમિલસેલવીએ તેને ઠપકો આપીને દીકરીથી દૂર રહેવા માટે જણાવ્યું.
સૂતી વખતે મોઢું દબાવીને કરી હત્યા
સગીરે જણાવ્યું કે ઠપકાથી નારાજ થઇને તેણે કાકીને મારી નાખવાનું નક્કી કરી લીધું. કાકીના ઘરે પહોંચ્યો ત્યારે તેઓ ઊંઘતા હતા. તેણે ટેડીબેર તેમના મોઢામાં ઠૂંસીને હત્યા કરી દીધી. પછી ચપ્પુથી તેમના હાથની નસ કાપી નાખી.