થરાદ ખાતે આવેલ સીએમ જ્વેલર્સ નામની દુકાનમાં ગતમોડી સાંજે લુંટના ઈરાદે આવેલ અજાણ્યા પાંચ થી છ શખ્સોએ જ્વેલર્સની દુકાનના માલીક ઉપર ફાયરીંગ કરી ફરાર થઈ જતાં શહેરભરમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવના પગલે ઘટના સ્થળે દોડી આવેલ પોલીસે ઈજાગ્રસ્ત દુકાન માલીકને સારવાર અર્થે ખસેડી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. થરાદ બજારમાં આવેલ સીએમ જ્વેલર્સના માલીક ચંદ્રકાંત મંગળદાસ સોની ઉ.વ.આ.૬પ તથા તેમના કર્મચારીઓ ગઈકાલે મોડી સાંજે દુકાનની જાળી અડધી બંધ કરીને કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા બુકાનીધારી શખ્સો દુકાને આવી જાળી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં દુકાનના માલીક ચંદ્રકાંતભાઈ પાસેથી ચાવી ઝુંટવાનો પ્રયાસ કરતા તેઓએ ચાવી ન આપતાં અજાણ્યા શખ્સોએ તેમની ઉપર ફાયરીંગ કર્યુ હતું. બાદમાં ફરાર થઈ ગયા હતા. આથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત દુકાન માલીક ચંદ્રકાંતભાઈ સોનીને સારવાર અર્થે શહેરની જે.જે. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે થરાદ એએેસપી રાજ્યાન સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ લોકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવના પગલે સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.