પાલનપુર સામાજિક સમરસતા અને સૌનો સાથ સૌનો વિકાસના નારાનો છેદ ઉડાડતો ચોંકાવનારો કિસ્સો પાલનપુર તાલુકાના બાદરપુરા(ખો) ગામમાં બહાર આવ્યો છે. જેમાં એક માજીરાણા પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવતા મામલો પોલીસ થાણે પહોંચતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, પાલનપુર તાલુકાના બાદરપુરા ગામે છાપરું બાંધીને વસવાટ કરતી માજીરાણા સમાજની વિધવા રેશમબેન ચમનભાઈ ભીલના પુત્રોને સરકાર દ્વારા મફત પ્લોટ મંજૂર કરવામાં આવતા આ વિધવાએ ગામના સરપંચ શાંતાબેન ડોહજીભાઇ ભુતેડીયાને પ્લોટ
ફાળવવા રજુઆત કરતા સરપંચ પતિ ડોહજીભાઇ પ્રેમજીભાઈ ભુતેડીયા ઉશ્કેરાઈ ગયા હતા. અને વિધવાને જાતિ અપમાનીત કરી અપશબ્દો બોલી ગામ છોડી જવા તેમજ ગામ નહિ છોડે તો તેનું છાપરું સળગાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપો સાથે ભયભીત મહિલાએ આ મામલે ગઢ પોલીસને રજુઆત કરી હતી.ર દરમિયાન, પીડીતાએ કરેલા આક્ષેપ મુજબ, સરપંચ અને તેમના પતિ દ્વારા ગામના મંદિરમાં ગામલોકો સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં આ વિધવાના પરીવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈ સરપંચ દ્વારા આ પરિવારનું નળ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું અને દૂધ મંડળી દ્વારા આ પરિવારનું દૂધ સ્વીકારવાનું બંદ કરી દેવાયુ હતું. સાથે ગામમાં સાદ પાડીને આ ભીલ પરીવારને ગામમાંથી કારીયાણું આપવા તેમજ કામધંધે લઈ જવા ઉપર મનાઈ ફરમાવવાનું એલાન કર્યું હતું. જોકે છુટક મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતી વિધવાના પરીવારનો ગામલોકો દ્વારા સામાજિક બહિષ્કાર કરવામાં આવતા આ પરીવાર કફોડી હાલતમાં મુકાઈ ગયો હતો.આખરે ન્યાય માટે વિધવા રેશમબેન માજીરાણા દ્વારા બાદરપુરા(ખો) ગ્રામપંચાયત ના સરપંચ અને સરપંચ પતિ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા એસી.એસટી નાયબ પોલીસ અધિક્ષક વિધિનકુમાર પંડ્યાએ બનાવની તપાસ હાથ ધરી છે.