વડગામ તાલુકાના જલોતરા પંથકમાં શનિવારે રાત્રે એકાએક ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડુતોના પપૈયાની ઉભી વાડી જમીનદોસ્ત થઇ ગઇ હતી. જેને લઇ મોટું નુકશાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અને સરકાર દ્વારા ખેડૂતોને વળતર મળે તેમ જણાવ્યું હતું.
જલોતરા પંથકમાં શનિવાર રાત્રે આંધી સાથે એકાએક મેઘરાજાની એન્ટ્રી થતા નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યો હતો. તેમજ અન્ય ખેતી પાકોને નુકસાન થયું હતું. ત્યારે લક્ષ્મણભાઇ રામજીભાઇ ભટોળ (જલોતરા) તથા રગનાથભાઇ વાઘજીભાઈ ઉપલાણાએ તેમના ખેતરમાં પપૈયાની ખેતી કરી હતી. પરંતુ એકાએક ભારુ પવન સાથે વરસાદ વરસતા પપૈયાની ઉભી વાડી ધરાશયી થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ થવા થયો છે.
પપૈયા વાવેલ ખેડૂત લક્ષમણભાઇ ભટોળ તેમના ખેતરમાં ૧૫૦૦ રોપા પપૈયાના વાવેતર કર્યું હતું. જેમાં પવનની ઝપટમાં પપૈયાના છોડ તૂટીને જમીનદોસ્ત થઇ ગયા હતા. જ્યારે સરદારભાઇ અભૂભાઇ ભટોળના કેટલશેડના પતરા ઉડી જવા પામ્યા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ત્યારે આ બન્ને ખેડૂતોને મોટું નુકશાન થયું છે તેમ જણાવ્યું હતું.