છેલ્લા કેટલાક મહીનાઓથી વડગામ તાલુકાના ગામડાંઓમાં બી.પી.એલ લાભાર્થીઓની યાદી સાથે એક શખ્સ સમાજ કલ્યાણ અધિકારીના સ્વાગમાં ગામે ગામ લોનકેશ દ્વારા સબસીડીની લાલચ આપી, જરૂરીયાતવાળા ગરીબ લોકો પાસેથી એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધીની રોકડી કરી લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યુ હોવાનું લોકમુખે ચર્ચાય છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડગામના ભરોડ ગામે પ્રવિણ ગોસ્વામી નામનો ઈસમ પોતાને સમાજ કલ્યાણ અધિકારીની ઓળખાણ આપી ત્રણ વ્યક્તિઓને એક લાખની લોન એમાં ચાલીસ હજાર સબસીડી આપવાનું કહી ર૦૦૦,૧પ૦૦ અને રૂ.૧૦૦૦/-ની રોકડી કરી ફરાર થઈ ગયો હતો. ભરોડ ગામના ગોવિંદભાઈ વાલજીભાઈ મકવાણા (ઉ.વર્ષ.૪૯), રાંમજીભાઈ ભિખાભાઈ પરમાર (ઉ.વર્ષ ૪પ) અને છોટાભાઈ ખેમાભાઈ મકવાણા (ઉ.વર્ષ-૬ર) પાસેથી લોનકેશ કરવાના બહાને ઉપરોક્ત રકમ ઉઘરાવી હોવાનું ત્રણે જણે રૂબરૂમાં જણાવ્યું હતું. લોન કાગળ સાત દિવસમાં મળી જશે તેવું કહી નકલી સમાજ કલ્યાણ અધિકારી પ્રવિણ ગોસ્વામી (તાજપુરાવાળો) ફરાર થઈ ગયો હતો. તેના વડગામ આદ્યશક્તિનગર પ્રતાપજી નારાજી રાજપૂતના રહેઠાંણના સરનામે તપાસ કરતાં ત્યાંથી તેણે મકાન ખાલી કરી દીધેલ છે. ઉપરોક્ત શખ્સે વડગામ તાલુકાના ગામે લોન આપવાના બહાને મોટું ઉઘરાણું કરેલ હોઈ જિલ્લા સમાજ કલ્યાણ કચેરી અને પોલીસ દ્વારા ઉંડી તપાસ થાય તેવી લોકમાંગ છે.