સવારે ૮ વાગ્યે વાવાઝોડુ 'વાયુ' સોમનાથથી દક્ષિણ પશ્ચિમે ૧૨૫ કિ.મી. દૂર પહોંચ્યુ છે.જે પશ્ચિમ દિશામાં ફંટાઈ રહ્યું છે.વાવાઝોડાએ દિશા બદલી ગુજરાતના કાંઠેથી દૂર જવા લાગ્યુ છે. ગુજરાતના સમુદ્ર કાંઠાના સમાંતરે આ વાવાઝોડુ ફંટાઈ જશે પણ સૌરાષ્ટ્રના કાંઠા ઉપર ત્રાટકશે નહિં જેની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જોરદાર પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદનું જોખમ રહેશે. 'વાયુ' વાવાઝોડાની રફતારમાં નવો વળાંક આવ્યો છે અને સૌરાષ્ટ્રના કાંઠેથી દૂર ચાલ્યુ જાય તેવા પૂરા ચાન્સ હોવાનું સ્કાયમેટના વાઈસ પ્રેસીડેન્ટ મહેશ પાલાવતે ટ્વીટ ઉપર જાહેર કર્યુ છે.સ્કાયમેટ વેધરના અહેવાલ પ્રમાણે વાયુ અત્યારે ઉત્તર - ઉત્તર પશ્ચિમ દિશાએ આગળ વધી રહ્યુ છે. વેધર મોડલ હવે એવા નિર્દેશ આપે છે કે આજે બપોરે ૧૩૫ થી ૧૪૫ કિ.મી.ની ઝડપે વાયુ વાવાઝોડુ દ્વારકા-ઓખા બંદરની સમીપે પોરબંદરના દરિયાકાંઠેથી ફંટાઈ જાય તેવા પૂરા સંજોગો સર્જાયા છે. દરમિયાન ગુજરાતમાં ૨૨૫૧ ગામોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેમાં ૫૬૬ વીજ થાંભલા પૂર્વવત કરાયા હતા. ૯૦૪ વીજ ફીડરમાંથી ૧૯૭ ફીડર પુનઃ કાર્યરત કરાયા છે.