સુરતના ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા. જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ પોનીકર એજન ખાતે પરિવાર સાથે રહેતા હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે બાઈક પર દીકરા ભાવેશ, સાહિલ અને ભત્રીજા ભુપેન્દ્રને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. દરમિયાન ડિંડોલી બ્રિજ પર પૂરપાટ જતી સિટી બસ(GJ-05-BX-3492)ની અડફેટે ચડી ગયા હતા. જેમાં પિતા યશંવતભાઈ અને દીકરા ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે સિટી બસનો ચાલક બસ લઈને ભાગી ગયો હતો. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત સાહિલને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.મોતને ભેટનાર ભાવેશ અને ભુપેન્દ્ર ઈશ્વરપુર નવાગામ ખાતે આવેલા 246 નંબરની પાલિકાની શાળામાં અભ્યાસ કરતા હતા. ઉપેન્દ્ર ધોરણ 6નો વિદ્યાર્થી હતો. અને ભણવામાં હોશિયાર પણ હતો.
તસ્વીર અહેવાલ : વસંત બારોટ