શહેરમાં સ્કુલ વાનચાલકે એક વિધાર્થીની સાથે શારીરીક છેડછાડ કરવાનો મામલો સામે આવતા શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. શારીરીક છેડછાડની ઘટનાથી વિધાર્થીનીએ સ્કુલ જવાનું છોડી દેતા પરિવાર ચિંતિત થયો છે.
શહેરની નામાંકિત ગુજરાત પબ્લીક સ્કુલનાં ખાનગી વાનચાલકે ધોરણ 5માં અભ્યાસ કરતી વિધાર્થીનીને તેની જ વાનમાં આગળ બેસાડીને શારીરીક અડપલા કરતાં વિધાર્થીની ગભરાઈ ગઈ. વિધાર્થીનીનાં વાલીએ વિધાર્થીનીને સ્કુલમાં મુકવા જવા માટે એક વાન બંધાવી હતી. જેનાં ડ્રાઈવ વિજય રાજપુતે વિધાર્થીનીને તેનાં ઘરેથી સ્કુલ છોડતા સમયે વાનમાં આગળ બેસાડીને તેની સાથે શારીરીક અડપલા કર્યા.
જો કે સદનસીબે વાનમાં તે સમયે સ્કુલનો અન્ય એક વિધાર્થી હાજર હોવાથી મોટી ઘટના બનતી બચી ગઈ હતી. અન્ય વિધાર્થી ભોગ બનનાર વિધાર્થીનીને સ્કુલમાં શિક્ષક પાસે લઈ ગયો. જ્યાં વિધાર્થીનીએ સમગ્ર ઘટના વર્ણવતા સ્કુલ સંચાલકોએ વાલીઓને સ્કુલમાં બોલાવ્યાં. વાલીઓનો એવો આરોપ છે કે સ્કુલ સંચાલકોએ માત્ર વાનચાલક પાસેથી માફી પત્ર લખાવીને તેને કાઢી મુકયો પરંતુ તેની સામે પોલીસ ફરિયાદ નથી કરી.
મહત્વનું છે કે આ વિધાર્થીનીનાં પરિવારને સ્કુલ તરફથી જ્યારે કડવો અનુભવ થયો ત્યારે તેવો પોલીસ પાસે ગયા હતાં. ત્યારે માંજલપુર પોલીસે પરિવારને ગુજરાતી લખતા ન આવડતું હોવાથી ફરિયાદ ન સ્વીકારી. જેથી પરિવારનાં સભ્યે પોલીસ કમિશ્નર સહિત રાજય સરકારને ઈ-મેઈલથી સમગ્ર ઘટનાની જાણ કરી ફરિયાદ કરી.
મહત્વની બાબત છે કે આ સમગ્ર ઘટના બન્યાં બાદ ગુજરાત પબ્લીક સ્કુલ સંચાલકોએ વાનચાલકને સ્કુલમાંથી કાઢી મુકયો તેમજ ખાનગી વાનને પણ બંધ કરી દીધી. તેમજ વાનચાલક પાસે માફીનામું પણ લખાવ્યું. પરંતુ સવાલ એ છે કે વાનચાલક સામે સ્કુલે પોલીસ ફરિયાદ કેમ ન કરી.