મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો અંત આવ્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હશે. આવતીકાલે 28 નવેમ્બરના રોજ ઉદ્ધવ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યાથી યોજાશે.
શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના રાજીનામા બાદ મંગળવારના દિવસે મુંબઈના ટ્રાઇડેન્ટ હોટલમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસ અને કેટલાક નાના પક્ષોની સંયુક્ત બેઠકમાં મહા વિકાસ અઘાડીની વિધિવત રચના કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટણી કાઢવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે હાલમાં ધારાસભ્ય નથી જેથી મુખ્યમંત્રી બની ગયાના છ મહિનાની અંદર તેમને વિધાનસભા અથવા તો વિધાન પરિષદના સભ્ય બનવાની જરૂર રહેશે. ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મુંબઈના શિવાજી પાર્કમાં એક ભવ્ય કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. પ્રથમ વખત ઠાકરે પરિવારમાંથી કોઇ વ્યક્તિ મુખ્યમંત્રી બનવા જઈ રહી છે.
હજુ સુધી ઠાકરે પરિવારના સભ્યો ચૂંટણીથી દૂર રહેતા હતા પરંતુ હવે એક સાથે આવી ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પરિવારે આ વખતે પરંપરા તોડી હતી અને ઉદ્ધવ ઠાકરેના બદલે આદિત્ય ઠાકરેને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. એવા સંકેત એ વખતે જ મળી ગયા હતા કે, શિવસેના મુખ્યમંત્રી પદ માટે જોર લગાવશે. ૨૪મી ઓક્ટોબરના દિવસે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ શિવસેનાએ ભાજપ પર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ લાવ્યું હતું. જો કે, ભાજપ સાથે ગઠબંધન તુટી ગયા બાદ પોતે મુખ્યમંત્રી તરીકે આગળ વધવાની ફરજ પડી રહી છે. ઉદ્ધવ ઠાકરેની સાથે કોંગ્રેસ અને એનસીપીમાંથી પણ એક એક નેતા નાયબ મુખ્યમંત્રી પદના હોદ્દા લઇ શકે છે. એનસીપી તરફથી જયંત પાટીલ અને કોંગ્રેસ તરફથી બાલાસાહેબ ખોરાટ નાયબ મુખ્યમંત્રી બની શકે છે.