રખેવાળ ન્યુઝ હિંમતનગર : કેન્દ્રની ભાજપ સરકાર દવારા અમલમાં આવેલા નાગરિકતા કાયદાના સર્મથનમાં નાગરિક જાગરણ સમિતી સાબરકાંઠા દવારા હિંમતનગરમાં નગરપાલિકા ફાયર સ્ટેશન છાપરિયા ચાર રસ્તાથી ટાવરચોક સુધી જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલની રાહબરી હેઠળ જનસર્મથન રેલી યોજાઇ હતી. જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પાલિકા પ્રમુખ અનિરૂધ્ધભાઇ સોરઠીયા, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલ,માર્કેટ યાર્ડના ચેરમેન જેઠાભાઇ પટેલ, સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ, માજી મંત્રી વી.ડી.ઝાલા, મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા, નીલાબેન પટેલ, સહિત ભાજપના કાર્યકરો તેમજ જિલ્લાભરમાંથી લોકો જોડાયા હતા. નાગરિકતા કાયદા અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી કાયદા સાથે સંકળાયેલા પાસાઓની જાણકારી આપતા બેનરો, સુત્રો રેલીમાં પ્રદર્શિત કરાયા હતા. નાગરિકતા કાયદાનો ઠેર ઠેર વિરોધ થઇ રહયો છે ત્યારે કાયદા અંગે ફેલાયેલી ગેરસમજો દૂર કરવા અને તેના સર્મથનમાં રેલીનું આયોજન કરાયું હતું.૧૫૦ મીટર ફુટ લાંબા ત્રિરંગા સાથે રેલીમાં જોડાયેલા યુવા ભાજપના કાર્યકરો લોકોના આર્કષણનું કેન્દ્ર બન્યા હતા.