ડીસા તાલુકાના ભીલડી નજીકના છત્રાલાથી સદરપુર જતા રોડ પરના બનાસ નદીના પટમાં રાતના સુમારે કોઈ હરામખોરો આઈશર ગાડીમાં ૧ર જેટલી અબોલ ગાયોને ફેંકીને પલાયન થઈ ગયા હતા. જેની સવારે જાણ થતા ગામના સરપંચ બનસીંગ સોલંકી અને જીવદયા પ્રેમી ચેતનભાઈ દેસાઈ વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરતા છ ગાયો મૃત હાલતમાં અને છ જીવિત ગાયો ઠંડીમાં ઠુંઠવાઈને પડી હતી. જેથી તેમણે રાજપુર પાંજરાપોળના ભરતભાઈ કોઠારીને આ બનાવની જાણ કરી હતી. જેના પગલે મગશીભાઈ રબારી એમ્બ્યુલન્સ વાન સાથે બનાસ નદીના પટમાં દોડી આવ્યા હતા અને છ જીવિત અને અશક્ત ગાયોને સારવાર અર્થે પાંજરાપોળ લઈ ગયેલ જ્યારે બાકીની મૃત છ ગાયોનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ વિધિ કરી હતી. દેવીનો દરજ્જા ધરાવતી ગાયોની બદહાલત કરનાર હરામખોરો પ્રત્યે પંથકમાં ફીટકાર વરસી રહ્યો છે.