ભાદરવી મેળા પૂર્વે જ અંબાજીમાં ડખો: બજારો બંધ રહેતા યાત્રાળુઓને મુશ્કેલી

અંબાજી: અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવતાં વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. ચોથા દિવસે પણ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે.પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે વેપારીઓ લડી લેવાના મૂડમાં છે. શનિવારે વેપારીઓએ રસ્તા પર ટાયરો સળગાવતાં પોલીસે 9 વેપારીઓની અટકાયત કરી છે. વેપારીઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી બજાર બંધ રાખવાની ચીમકી આપી છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવા અને અટકાયત કરાયેલા વેપારીઓને મુક્ત કરવાની માંગ સાથે વેપારીઓ બંધ રાખવા મક્કમ બન્યા છે. બીજી તરફ વહિવટી તંત્ર પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવા તૈયાર નથી. ત્રણ ત્રણ દિવસ સુધી આ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતાં પદયાત્રીકો હાલકી વેઠી રહ્યા છે.ભાદરવી પૂનમના મહામેળામાં પ્લાસ્ટિક પર અને પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વિરોધમાં તમામ વેપારીઓ છેલ્લા ત્રણ દિવસથી અંબાજી બંધ રાખીને બેઠા છે અને શનિવારે અંબાજીની વિરોધની વચ્ચે ટાયરો બાળી અને રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેમાં 9 વેપારી અગ્રણીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી તેમજ 20 વેપારીઓ સહિત 350 ના ટોળાં સામે ફરિયાદ નોંધાઇ હતી.જેમાં રવિવારે અંબાજી સતત ત્રીજા દિવસે પણ પ્લાસ્ટિકના વિરૂધ્ધમાં સજ્જડ બંધ રહ્યું હતું. જ્યાં સુધી આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે અને વેપારીને મુક્ત નહીં કરાય ત્યાં સુધી અંબાજીના તમામ વેપારીઓ અંબાજી બંધ રાખી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અંબાજી બંધ રહેતાં યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.