હિંમતનગર શહેરના મોતીપુરામાંથી વનવિભાગ ધ્વારા બાતમીને આધારે મંગળવારે સવારે ર્વાચ ગોઠવી ઝેરી સાપની તસ્કરીના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો કારમાંથી બે ઇસમોને 3 ઝેરી સર્પ સાથે ઝડપી પાડ્યા બાદ વધુ બે ઇસમોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. આખાયે મામલાના તાર નશાના કારોબાર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
સાબરકાંઠા જિલ્લા વનવિભાગ રાયગઢ રેન્જને બાતમી મળી હતી કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં સમાવીષ્ટ સરીસૃપ જાતિના ઝેરી સાપની તસ્કરી કરવામાં આવી રહી છે જે બાબતે ડીએફઓ શોભીતા અગ્રવાલને જાણ કરતા તેમના માર્ગદર્શન મુજબ હિંમતનગર શામળાજી રોડ પર ગઢોડા - પોલીટેકનીક ચોકડી પર એસીએફ યોગેશ દેસાઇ આરએફઓ કે.એચ. મકવાણા અને વનવિભાગના સ્ટાફ ધ્વારા મંગળવારે વહેલી સવારે વોચ ગોઠવી હતી તે દરમિયાન છએક વાગ્યાના સુમારે બાતમી વાળી હ્યુન્ડાઇ ઇઓન કાર નં. જી.જે-9-બી.એફ-2818 આવી પહોંચતા તેને રોકીને તપાસ હાથ ધરી હતી.
એસીએફ યોગેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે કારની ડીકીમાંથી ચાર થેલી મળી આવી હતી તેમાંથી એક થેલી ખાલી હતી અને બાકીની ત્રણ થેલીમાંથી ત્રણ સાપ મળી આવ્યા હતા જેમાથી એક રસેલ વાઇપર ખડચીતરો મૃત અવસ્થામાં હતો જ્યારે બે કોબ્રા જીવતા હતા. જેથી કારમાં સવાર પરેશકુમાર મોહનભાઇ પુરોહિત (હાલ રહે. અમદાવાદ મૂળ રહે. હિંમતનગર) અને કીશનભાઇ બાબુભાઇ (રહે. હિંમતનગર) ની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ બાદ હિંમતનગરમાંથી તેમના અન્ય બે સાગરીત સંદીપભાઇ બાબુભાઇ મીસ્ત્રી અને દિવ્યપ્રકાશ ગીરીશભાઇ સોનારાને ઝડપી પાડી જે.એમ.એફસી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.