જમ્મુ એરપોર્ટથી તા.૨૭ જાન્યુઆરીએ સાયકલયાત્રાની શરૂઆત કરીને જમ્મુ કાશ્મીર,હિમાચલપ્રદેશ,પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ,મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશી રાધનપુર પહોંચેલા નરપતસિંહ રાજપુરોહિત દેશભરમાં ૨૪ હજાર કિલોમીટર સાયકલયાત્રા કરીને લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરી રહ્યા છે,અને લોકોને રોજેરોજ બે-ત્રણ છોડ આપીને તેને ઉગાડવા અને તેનો ઉછેર કરવા સંકલ્પ લેવડાવે છે.લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બનશે તો પર્યાવરણના રક્ષણમાં જરૂર સુધારો આવશે તેવું તેમનું માનવું છે.
દેશભરની સાયકલ યાત્રાએ નીકળેલા નરપતસિંહ રાજપુરોહિતને પર્યાવરણ અંગે પ્રેરણા સ્કૂલના સમયમાં મળી હતી,સ્કૂલમાં ભણતા હતા ત્યારે શિક્ષકે વૃક્ષારોપણ માટે તેને ચોકલેટ આપી હતી, જે ચોકલેટે તેમને પર્યાવરણપ્રેમી બનાવી દીધો.છેલ્લા છ વર્ષમાં તેમણે ૮૩૦૦૦ જેટલા છોડ ઉગાડ્યા છે, આ ઉપરાંત ૧૩૩ હરણ,૫ મોર,૪ મોરની, ૪ સસલાં,૧ નીલગાય,૧ બાજ,૧ ઉલ્લુને બચાવીને આજદિન સુધીમાં બે શિકારીને પણ પકડાવવામાં તેમણે ફાળો આપ્યો છે.નરપતસિંહે પોતાની બહેનના દહેજમાં ૨૫૧ છોડ દહેજ સ્વરૂપે તેમજ તમામ મહેમાનો અને જાનૈયાઓને છોડ ભેટ સ્વરૂપે આપ્યા હતા. બહેનના સાસરિયામાં જઈને પણ તમામ ઘરોમાં બે-બે છોડ ભેટ આપ્યા હતા.નરપતસિંહ કહે છે કે મારા સાયકલ પ્રવાસનો હેતુ યુવાનોમાં શિક્ષણ,પર્યાવરણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો છે.તેઓ સાયકલપ્રવાસ દરમ્યાન જ્યાં પણ રાતવાસો કરે છે,ત્યાં યુવાનોને સાથે રાખીને ચાર છોડ જરૂર ઉગાડે છે,અને લોકોને છોડનું વિતરણ પણ કરે છે. કાશ્મીરથી કન્યાકુમારીની સાયકલયાત્રા કરનાર નરપતસિંહનું સ્વપ્ન દેશને હરિયાળો બનાવવાનું છે.