શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા હાઇકોર્ટની ફટકાર બાદ લૉ ગાર્ડન પાસે આવેલી ખાણીપીણી બજારમાં AMCએ સપાટો બોલાવ્યો.. જેના વિરોધમાં ખાણીપીણીના વેપારીઓ ધરણા પર ઉતર્યા. જેમા મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા અને રોટી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
મળતી માહીતી મુજબ લો-ગાર્ડનમાં રસ્તા પર જ ખાઉગલી ભરાતી હતી. જેને કારણે અંહી ટ્રાફિકની સમસ્યા થતી હતી. તેમજ ખાઉગલીમાં કોઇ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો રસ્તા પર જ વાહન પાર્ક કરીને જતા હતા અને અન્ય વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી થતી હતી અને રાતના સમયે ટ્રાફિક હોવાના કારણે અંહી પબ્લિકને પસાર થવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું હતું. મહત્વનુ છે કે AMCના એસ્ટેટ વિભાગ દ્વારા 250મીટરની લંબાઇમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમા 39 જેટલા યુનિટ તોડાયા હતા.
ખાવાના શોખીન અમદાવાદીઓમાં લો-ગાર્ડનની ખાઉગલી ખૂબ જ જાણીતી હતી. અમદાવાદીઓ અંહી મોડી રાત્રે જમવા માટે આવતા હતા. અંહી આવેલા કેટલાક ફૂડ સ્ટોલ્સ પર AMCએ બુલડોઝર ફેરવી દીધુ હતુ. ખાસ કરીને અંહી સાંજથી શરૂ થઇ જતા આ ફૂડ સ્ટોલ્સને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી.