સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામની બહેનોનુ સખી મંડળ આજે સમગ્ર ગુજરાતમાં તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતુ બન્યુ છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસ (પી.ઓ.પી).ની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્રારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનુ નિર્માણ કરી તેના પર નારિયેલના છોતરાઓ માંથી ઉત્પન્ન થતા રેસા, ઊન અને કાપડ દ્રારા શણગારવામાં આવે છે જે પર્યાવરણ માટે સાનૂકુળ છે.
આ સખી મંડળમાં કામ કરતા અરુણાબેન જણાવે છે કે, છેલ્લા દસ વર્ષથી આ રીતે પ્રતિમાઓનુ નિર્માણ કરે છે જેમા ગામની ૩૦ બહેનો જોડાયેલ છે આ બહેનો અખાત્રીજથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે વપરાતા દરેક પદાર્થ ઇકોફેન્ડલી છે જેથી આ મૂર્તિઓની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે. આ માંગને પહોચી વળવા માટે ક્યારેક આજુ બાજુના ગામોની બીજી બહેનોને પણ બોલાવવી પડે છે. આ બહેનોને ગુજરાત માટીકામ કલા-કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્રારા માટી પુરી પાડવામાં આવે છે.
આ મૂર્તિઓને વિસર્જીત કરાતા તેની માટી પાણીમાં ઓગળી જાય છે અને નારીયેળના રેસા, ઉન, કાપડ જેવી વધારાની શણગારની વસ્તુઓ કિનારે તણાઇ આવે છે જેને સફાઇ પૂર્વક નદી તળાવ કે વિસર્જીત જગ્યા પરથી લઈ શકાય છે સાથે રાજ્ય સરકાર દ્રારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે. જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ના થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય. આ મૂર્તિઓ ઘરે પણ કૂંડ બનાવી વિસર્જીત કરી શકાય તેવી હોય છે.
આ સખી મંડળની રચના કરનાર અને બહેનોને તાલીમ પુરી પાડનાર ઇન્દ્રજીતભાઇ જણાવે છે કે તેઓને ગુજરાત સરકારના દ્રારા આયોજીત એન.આઇ.એફ.ટી. સંસ્થા દ્રારા અપાતી તાલીમ દરમિયાન આ રીતે મૂર્તિ બનાવતા શીખ્યા હતા. તેઓએ ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ તાલિમ આપવાની શરૂ કરી ત્યારે ગામની ૫૦ જેટલી બહેનોને તાલિમ આપી હતી. આજે આ સખી મંડળમાં ૩૦ જેટલી બહેનો કામ કરે છે. આ મૂજેમા આશરે નાની-મોટી થઈ ૩૦૦ જેટલી મૂર્તિઓનુ નિર્માણ થાય છે જેની કિંમત ૫૦૦ રૂપિયાથી લઈ ૨૧,૦૦૦ જેટલી હોય છે. ગુજરાત સરકાર દ્રારા મોટા મોટા શહેરોમાં જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરતમાં લગાડવામાં આવતા સ્ટોલમાં આ મૂર્તિઓનુ વેચાણ થાય છે જેથી આ મૂર્તિઓ સારી કિંમતે સીધા ગ્રાહકને જ વેચી શકે અને દલાલો મારફતે થતી લુંટથી બચી શકે છે. આ મૂર્તિઓ માટે મુંબઈથી પણ ઓર્ડર આવે છે. આ મુર્તિઓની માટે ગુજરાતના દરેક જિલ્લામાંથી ગ્રાહકો ખરીદી માટે આવે છે.
ઇન્દ્રજીતભાઇ વધુમાં જણાવે છે કે તેઓનુ આ સખી મંડળ આ મૂર્તિઓના વેચાણ થકી વાર્ષિક છ થી સાત લાખ જેટલી રકમ મેળવે છે સાથે મહિલાઓ પરિવારને આર્થિક મદદ પણ કરી શકે છે. આ સખી મંડળમાં ઘણી બહેનો પોતાનો અભ્યાસખર્ચ પણ પોતે ઉપાડી લે છે.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે જણાવે છે કે, મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને સરકાર દ્રારા ખાસ આયોજનો કરવામાં આવે છે આ સખી મંડળની દરેક બહેન માત્ર પૈસા જ નથી કમાતી પરંતુ પર્યાવરણને શુધ્ધ રાખી અનેક જળ જીવોનુ જીવન પણ બચાવે છે જેથી આ બહેનોનુ આ કાર્ય વધુ મહત્વપૂર્ણ બની જાય છે.