દાંતીવાડા તાલુકાના જેગોલથી દાંતીવાડા હાઇવે ઉપર આવેલ મારવાડા ગામ પાસે આજરોજ ઇટોથી ખીચોખીચ ભરેલી ટ્રક પલટી જતા ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર અમીરગઢ તાલુકાના ખારા ગામથી જેગોલ જઈ રહેલી ઇટોથી ભરેલી ટ્રક આજ રોજ સાંજના ૪ વાગ્યાના સમયે દાંતીવાડા હાઇવે ઉપર આવેલા મારવાડા ગામ પાસે પીરની દરગાહની સામે પલટી ગઈ હતી. જેમાં સવાર ત્રણ લોકોના જગ્યા ઉપરજ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થવા પામી હતી.જેમાં ટ્રક પલટી જઈને રોડની વચ્ચોવચ્ચ ઉંધી વળી ગઈ હતી. જેના કારણે રોડ પર ઇંટોનો ઢગલો થઇ જતા ટ્રાફિક સાથે લાંબી લાઈનો લાગી ગઈ હતી.ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસ અને ૧૦૮ ઘટનાની જગ્યાએ આવી પહોંચ્યા પોલીસ સ્ટાફ આવી પહોચતા ગણતરી જ મીનીટમાં રસ્તો ખુલ્લો કરીને વાહનની આવા જાવ શરૂ કરવામા આવી હતી.પરંતુ અકસ્માતમાં ત્રણ જણને વધુ વાગવાથી મોત નિપજ્યા હતા.અકસ્માતના પગલે તાલુકામાં ગેરકાયદેસર ચાલતા ઇટવાડાઓ અને આવી ખીચોખીચ ઈટો ભરીને ચાલતી ટ્રકોની અને આરટીઓ પરમિશન મુજબની ઈટો ભરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવા માંગ ઉઠી છે. મૃતકોની લાશને પી.એમ.અથૅ દાંતીવાડા પી.એચ.સી. મોકલવામાં આવી હતી.જયારે ઇજાગ્રસ્તને પાલનપુર ખસેડાયો હતો.જયારે ભારે જહેમત બાદ ટ્રકને જેસીબીની મદદથી સીધી કરી સાઈડમાં કરાઈ હતી.