રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ સામે 9 સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત

પાટણ જીલ્લાની રાધનપુર તાલુકા પંચાયતમાં ફરી એકવાર રાજકીય ઘમાસાણ તેજ બન્યુ છે. પ્રમુખ વિરૂધ્ધ ઉપપ્રમુખ સહિતના 9 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત આપતા સત્તાધીન કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. સભ્યોને વિશ્વાસમાં લીધા અને અણઘડ વહીવટ ચલાવતા હોવાનું કારણ આપી પ્રમુખ સામે કોંગ્રેસ અને ભાજપના 9 સભ્યો એક બની ગયા છે. દરખાસ્તને પગલે રાધનપુર તાલુકા ભાજપ અને કોંગ્રેસમાં દોડધામ વધી છે.
 
રાધનપુર તાલુકા પંચાયતમાં સત્તાધીન કોંગ્રેસના પ્રમુખ લવજીભાઇ ઠાકોર નજીવા સભ્યોના ટેકા સાથે વહીવટ ચલાવી રહયા છે. અગાઉ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચુંટણીમાં કોંગ્રેસના સભ્યોએ બળવો કર્યો હોઇ ફરી એકવાર રાજકીય ખેંચતાણ સામે આવી છે. અવિશ્વાસની દરખાસ્તમાં ઉપપ્રમુખ સહિત 9 સભ્યોએ સહી કરી હોઇ બાકીના 8 સભ્યો પ્રમુખ સામે અથવા નિર્ણય ન લઇ શકયા હોવાનું મનાય છે.
 
જાણવા મળ્યા મુજબ ગત દિવસોએ કારોબારી કમિટી કોંગ્રેસના સભ્યોએ ભાજપનો સાથ લઇ પ્રમુખને મોટો ઝાટકો આપ્યો હતો. હવે ફરી એકવાર સત્તાધીન કોંગ્રેસ પ્રમુખ સામે 17 પૈકી 9 સભ્યોએ નારાજગી દર્શાવી છે. ઉલ્લેખનિય છે કે, અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કુલ 12 સભ્યોનો ટેકો જરૂરી હોઇ ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ સહિતના સભ્યોને ખેંચવા મથામણ શરૂ થઇ છે.
 
રાધનપુર તાલુકા પંચાયતમાં ચુંટાયેલી બોડીને અગાઉ અઢી વર્ષની ટર્મ પુર્ણ થયા બાદ લવજીભાઇ પ્રમુખ તરીકે આવ્યા છે. પ્રમુખ તરીકે આવ્યાના ગણતરીના મહિનામાં શરૂઆતમાં કારોબારી કમિટી ઝુંટવાઇ ગઇ અને હવે ખુરશી પણ જોખમમાં મુકાતા ભારે મુંઝવણ અનુભવી રહયા છે. વધુમાં આગામી ટુંક સમયમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જવુ કે કોંગ્રેસમાં રહેવુ તેને લઇ મોટો નિર્ણય જાહેર કરશે. આથી અલ્પેશનો નિર્ણય પોતાના જ મતવિસ્તારની તાલુકા પંચાયતમાં આવેલ અવિશ્વાસની દરખાસ્તને અસર કરશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.