અકસ્માતોની ઘટના દિન પ્રતિદિન વધતાં આવી ઘટનાઓ રોજીંદી બની ગઈ છે ત્યારે થરાદ તાલુકાના લુવાણાથી દૂર બે કિમીના અંતરે આવેલા બેવટા નજીક અકસ્માત સર્જાયો હતો, લુવાણા બેવટા રોડ પર બાઈક સવાર મેઘપુરા ગામના પ્રકાશભાઈ સેનાજી ઠાકોરને કપાળના ભાગે વાગતાં ઘટના સ્થળે મૃત્યુ થવા પામ્યું હતું. મળતી માહિતી મુજબ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બાઈક લઈને ઘેર આવતો હતો ત્યારે અચાનક બાઈક સ્લીપ ખાઈ જતાં યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે અકસ્માત સર્જાયા બાદ સવારમાં આઠ વાગ્યે પરિવારજનોને ગ્રામજનો મારફતે જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા, મોડી રાત્રે રસ્તા પર અકસ્માત સર્જાતાં સવાર સુધી વાહનવ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો. આ બનાવથી પરિવારજનો પર આઘાતની સાથે દુ:ખનું આભ તૂટી પડ્યું હતું, જેથી એરેરાટી વ્યાપી જવા પામી હતી.