રખેવાળ ન્યુઝ પાલનપુર
વડગામપંથકની એક સગીરાનું એક વર્ષ અગાઉ અપહરણ કરી જુદીજુદી જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ અચરનાર આરોપીને બનાસકાંઠાની સ્પે. પોકસો કોર્ટે આજીવન કેદની સજા અને રૂપિયા ૨૦,૦૦૦નો દંડ ભરવાનો હૂકમ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના એક ગામની સગીરાને વણસોલ ગામનો દિનેશ કેશાજી ઠાકોર (સોલંકી)એ તારીખ ૨૪/૪/૨૦૧૮ના રોજ એક સગીરાનું મોટર સાયકલ ઉપર અપહરણ કર્યુ હતુ. અને તેણીને ઉંઝા, અમદાવાદ, સુરત ખાતે લઇ જઇ અવાર- નવાર બળાત્કાર કર્યો હતો. આ અંગે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન આ કેસ બનાસકાંઠાની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આર. આર. ચૌધરીએ સરકારી વકીલ નૈલેશ એમ. જોષીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી આરોપી દિનેશ કેશાજી ઠાકોરને ક્રિ. પ્રો. કોડની કલમ
૨૩૫ (૨) અન્વયે પોકસો એકટની કલમ ૫ (એલ) મુજબના ગૂનામાં તકશીરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂપિયા ૨૦,૦૦૦નો દંડ કર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હૂકમ કર્યો હતો. આ ઉપરાંત ઇપીકો ક. ૩૬૩ના ગૂનામાં ત્રણ વર્ષની કેદ અને રૂપિયા બે હજારનો દંડ, જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદ તેમજ કલમ ૩૬૬ના ગૂનામાં પાંચ વર્ષની કેદ અને રૂપિયા ત્રણ હજારનો દંડ જો, દંડ ન ભરે તો ત્રણ માસની સજાનો હૂકમ કર્યો હતો.