રાજકોટ: શહેરના કોટેચા ચોકમાં દર્દીને લેવા જઈ રહેલી એક એમ્બ્યુલન્સને સાઈરન ચાલુ રાખવા મામલે વોર્ડન દ્વારા રોકી રાખવામાં આવતા દર્દીનું મોત થવાની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ કમિશ્નરના આદેશથી આઈ-વે પ્રોજેક્ટના સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી. જેમાં વોર્ડન ભરત મકવાણા દ્વારા અડધો કલાક નહીં પરંતુ એકાદ મિનિટ માટે જ એમ્બ્યુલન્સ રોકવામાં આવી હોવાનું ખુલ્યું હતું. જો કે વોર્ડનને આવી કોઈ સત્તા ન હોવા છતાં તેણે એમ્બ્યુલન્સ રોકી હોવાથી તેને ડિશમિશ કરવામાં આવ્યો હતો. તેમજ તમામ વોર્ડનને પણ એમ્બ્યુલન્સ ન રોકવા અને ટ્રાફિકમાં એમ્બ્યુલન્સને પ્રાયોરિટી આપવાની સૂચના પણ આપવામાં આવી છે.
શહેરના માયાણી ચોક નજીક રહેતા અને વિરાણી અઘાટમાં દુકાન ધરાવતા 32 વર્ષીય જયદીપભાઇ મોહનભાઇ સંઘાણી શુક્રવારે સવારે પોતાની દુકાને હતા. ત્યારે નજીકના ટી.સી.માં ધડાકો થતાં લાઇટ ગૂલ થઇ ગઇ હતી. દરમિયાન જયદીપભાઇ પોતાની દુકાનમાં વાઇફાઇનું રાઉટર ચેક કરવા જતાં કોઇ ખુલ્લા વાયરને અડી જતાં તેમને વીજકરંટ લાગતા બેભાન થઇ ઢળી પડ્યા હતા. જો કે બનાવને પગલે આસપાસના દુકાનદારો એકઠા થઇ ગયા હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને તાકીદે મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ તેમની હાલત નાજુક હોવાથી તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવા માટે સરદાર યુવાગ્રૂપને ફોન કરી એમ્બ્યુલન્સ મોકલવા કહ્યું હતું. જેને પગલે મેનેજિંગ ટ્રસ્ટી રમેશભાઇ અને ડ્રાઇવર એમ્બ્યુલન્સ લઇ મધુરમે જવા નીકળ્યા હતા. દરમિયાન કોટેચા ચોક નજીક ટ્રાફિકજામ હોવાને કારણે સાયરન વગાડતાં ફરજ પર રહેલા ટ્રાફિક વોર્ડન ભરત મકવાણાએ એમ્બ્યુલન્સને અટકાવી હતી અને દર્દી નથી તો સાયરન કેમ વગાડો છો ? તેમ કહી ઉધ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. એટલું જ નહીં વોર્ડનની સાથે ટ્રાફિક પોલીસમેન પણ જોડાયો હતો અને તેણે એમ્બ્યુલન્સ સાઇડ પર રખાવી રોકી રાખતા જયદીપભાઇએ દમ તોડી દીધો હતો.