થરાદ : થરાદ તાલુકાના જમડા ગામના થાંનાભાઈ કુંભાજી રાજપુતે પોલીસ મથકમાં જણાવ્યું હતું કે શનિવારે સમાજની મીટીંગ હોવાથી તથા પોતાનો પુત્ર વિપુલ હોસ્ટેલમાં રહેતો હોવાથી તેને પૈસાની જરૂર હોઇ પૈસા આપવા માટે શનિવારની સવારના સુમારે ગાયત્રી વિદ્યાલયના દરવાજે તેની રાહ જોઈને ઉભા હતા. આ વખતે શાળા છુટતાં વિદ્યાર્થીઓ બહાર આવતાં અગિયારેક વાગ્યાના સુમારે શાળાના ગેટ આગળ છોકરાઓ ટોળે વળી અંદરો અંદર બોલચાલ કરતા હોવાનું જણાતાં તે વિદ્યાર્થીઓ તરફ ગયા હતા. આ વખતે મલુપુરના રસ્તા તરફથી ટોળું હાથમાં લોખંડની પાઈપો, લાકડીઓ અને ધોકા જેવા હથિયારો લઇ આવી સ્કુલની બહાર વિદ્યાર્થીઓને મારવા તુટી પડ્યા હતા. જેમાં વિપુલભાઇ થાંનાભાઇ રાજપુત રહે.જમડા તથા જયદીપસિંહ રાજપુત તથા રાજપુત રામસિંગભાઇ દુદાજી અને હેમાજીને શરીરે ઇજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે થાંનાભાઇ કુંભાજી રાજપુત રહે.જમડાની ફરિયાદના આધારે પોલીસે ગોવાભાઇ રામજીભાઇ રબારી, નરસેંગભાઇ સવાભાઇ રબારી,રતનશીભાઇ ભેમાભાઇ રબારી,દેવસીભાઇ ચોથાભાઇ રબારી,વિક્રમરભાઇ કુંવરાભાઇ રબારી,વશરામભાઇ પાંચાભાઇ રબારી,પ્રવિણભાઇ ઉકાભાઇ રાજપુત અને બીજા બે ત્રણ માણસો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.જ્યારે ઇજાગ્રસ્તોને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડાયા હતા. શાળામાં પાણી પીવા બાબતે વિધાર્થીઓ વચ્ચે સામાન્ય બોલચાલ થતાં કોઇ વિધાર્થીએ તેમના સમાજના માણસોને જાણ કરતાં મામલો બિચકાયો હતો. થરાદ પોલીસે ઉપરોક્ત શખસો સામે મારી નાખવાના ઇરાદે હુમલો કર્યાની ફરિયાદ નોંધી આઇપીસી કલમ ૩૦૭, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ સાતના નામજોગ તથા ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.