વલસાડ ખાતે આવેલ અમરત કાંતિલાલ આંગડિયા પેઢીમાં કામ કરતા શખ્સને કચ્છ એક્સપ્રેસમાં બેસી સુરત જતી વખતે ટ્રેનમાં બેસેલા 5 જેટલા બુકાનીધારીઓએ તમચા જેવું હથિયાર બતાવીને અંદાજે 50 લાખ ભરેલ બેગ લૂંટી લઈને ડુંગરી પાસે આવેલ ફાટક પાસે ચેઇન પુલિંગ કરી ભાગી છૂટ્યા હતા. ઘટના બાદ આંગડિયા પેઢીના કર્મચારીને નવસારી રેલવે સ્ટેશને ઉતર્યા બાદ તેને નવસારી સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે વલસાડ પોલીસ અને આરપીએફની ટીમે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.
વલસાડ ખાતે પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાજપૂત ઉવ.42 રહે.પહેલો માળ. ગગોત્રી બિલ્ડીંગ, ખડુંજી ટેકરો ધોબીવાડ, એમજી રોડ વલસાડ તેના પરિવાર સાથે રહે છે અને વલસાડ ખાતે આવેલ અમરત કાંતિલાલ એન્ડ કંપનીમાં આંગડિયા તરીકે ઘણા વર્ષોથી કામ કરે છે અને તેઓ વલસાડથી સુરત આંગડિયા માટે ડિલિવરી મેનનું કામ કરે છે. આજ રોજ સાંજે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત જવા નીકળ્યા હતા ત્યારે તેઓ જનરલ ડબ્બામાં બેઠા હતા ત્યારે 8.45 થી 9.00 વાગ્યાના સુમારે ટ્રેનમાં બેસેલા હતા ત્યારે ડબ્બામાં બેસેલા પાંચેક ઈસમો એ મોઢે બુકાની બાંધેલ હોય તેઓ એ પ્રવિણસિંહ સાથે લાવેલ બેગ ને ઝુટવવાનો પ્રયાસ કર્યો હતો જેથી આ પાંચેક ઈસમો એ તમચા જેવું હથિયાર બતાવ્યું હતું છતાં પ્રવિણસિંહ પ્રતિકાર કર્યો હતો અને શરીરે ઇજા થઇ હતી. આ ભાગદોડીમાં ટ્રેન માં બેસેલા મુસાફરો પણ ગભરાઈ ગયા હતા પ્રતિકાર કરવામાં પ્રવિણસિંહને માથા અને શરીરે ઇજા થઇ હતી.પ્રવિણસિંહ રાજપૂતને માથાના ભાગે ઇજા થઇ હોય ટ્રેન નવસારીમાં આવતા તેમાંથી ઉતારીને નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. નવસારી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ચાલુ ટ્રેને દિલધડક લૂંટ બાદ ડુંગરીની કાંકરી ફાટક પાસે ચેઇન પુલિંગ કરીને બુકાનીધારીઓ ઉતરી ફરાર થઈ ગયા હતા. હાઇવે પણ ત્યાંથી નજીક જ હોય આ લૂંટારુઓ એ રેકી કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાય રહ્યું છે. પોલીસે આ બુકાનીધારી ઈસમોની તપાસ શરૂ કરી છે .