પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં કેટલાક જર્જરીત બિલ્ડિંગો આવેલા હોવા છતાં નગરપાલિકાની આંખ આડા કાન કરવાની નીતિના કારણે મોટી જાનહાની સર્જાય તેવી સંભાવના છે. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં આ બિલ્ડિંગો અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઇ રહી છે.
પાલનપુર શહેરમાં વગર મંજૂરીએ બની ગયેલા બાંધકામો સામે નગરપાલિકાની રહેમ નજરે પગલે અનેક બાંધકામો ધમધમી રહ્યા છે. તેમ છતાં તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જનહિતમાં વિચાર કરીને ગેરકાયદેસર બની ગયેલા બિલ્ડિંગોને દૂર કરવાનું મન ન થાય તો કંઈ નહીં પણ પાલનપુર શહેરમાં જે જર્જરીત બિલ્ડિંગો આવેલા છે. તે બિલ્ડિંગના માલિકોને નોટિસ પાઠવી અથવા તો આવા બિલ્ડિંગો ઉતરાવી લઇ જાનહાની સર્જે તે પહેલાં પગલાં ભરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.
પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં આવેલ આવું જ એક બાંધકામ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. પરંતુ જર્જરિત અવસ્થામાં આવેલા આ બાંધકામને ઉતરાવી લેવામાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે. ત્યારે આ બાંધકામ જાનહાનિ સર્જે તેની રાહ જોવાઇ રહી છે કે કેમ તેવા સવાલો ઉઠવા પામ્યા છે.