દક્ષિણના છેવાડે કેરળમાં ભારે વરસાદના કારણે તબાહી વધી રહી છે. લગભગ સમગ્ર રાજ્યમાં તૂફાન અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ પર્યટન માટેના પ્રખ્યાત સ્થાન મુન્નારમાં 60 લોકોના ફસાયેલા હોવાની વાત સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં કેરળના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે 26 લોકોના મોત થયા છે.
આ તરફ પ્રખ્યાત પર્યટન સ્થળ મુન્નારના એક રિસોર્ટમાં આશરે 60 લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યો છે. જેમાં ઘણાં વિદેશીઓ હોવાની વાત પણ સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રિસોર્ટ તરફ જતાં માર્ગનો એક રસ્તો ભૂસ્ખલનના કારણે પ્રભાવિત થયો છે. જેના કારણે લોકો રિસોર્ટમાં જ ફસાયેલા છે. તેના માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છેકે, સ્થિતિની ગંભીરતાને જોતાં અમેરિકાએ પોતાના નાગરિકોને કેરળના જવાની સલાહ આપી છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારે વરસાદથી કેરળમાં આવેલ કુદરતી આફતમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ આપવામાં આવશે. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કેરળ સાથે સંબંધિત સભ્યોએ વરસાદમાં થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્ર સરાકર પાસે વિશેષ નાણાંકીય પેકેજની માંગણી કરી છે. જેના માટે કેન્દ્ર સરકાર મુખ્યમંત્રી સાથે વાત કરશે તેમ જણાવ્યું છે.
ગૃહમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ગૃહરાજ્ય મંત્રી કિરણ રિજિજુને સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે રાજ્યના પ્રવાસ પર મોકલ્યો છે. જે સ્થિતિનું નિરિક્ષણ કરી રાજ્યને જે પણ પ્રકારની જરૂરત હશે તે તમામ જરૂરી સહકાર કેન્દ્ર સરકાર તરફથી પૂરો પાડવામાં આવશે. કેરળના મુખ્યમંત્રી સાથે તેમની વાત થઈ હતી અને તેમને કહ્યું છે કે, કેન્દ્ર તરફથી જે પણ મદદ મળી રહી છે તેનાથી તેઓ સંતુષ્ટ છે.