રાધનપુરમાં શ્રીરામ સેવા સમિતિ દવારા છેલ્લા ચાર વર્ષથી શહેરમાં ફરતા મસ્તરામ(માનસિક અસ્થિર) લોકોને વર્ષમાં ત્રણથી ચાર વખત નવડાવી-ધોવડાવીને નવા કપડાં આપીને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.રવિવારે સમિતિના કાર્યકરો દ્વારા બે મહિલા અને આઠ જેટલા પુરુષ મસ્તરામ (માનસિક અસ્થિર) લોકોને પાર્થ કાર વોશિંગ દુકાને લઇ જઈને નવડાવી-ધોવડાવીને નવા કપડાં પહેરાવી,પગમાં નવા ચપ્પલ પહેરાવી, માથામાં વધેલા અસ્ત-વ્યસ્ત વાળ મહેશભાઈ નાઈ દ્વારા કપાવીને માથામાં સુગંધી તેલ નાંખી પાવડર લગાવીને સુગંધીદાર બનાવીને નાસ્તામાં ગરમા-ગરમ ગાંઠિયા, મોહનથાળ અને ચા પીરસીને સાચા અર્થમાં મસ્ત બનાવી દીધા હતા. આ પ્રસંગે શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, પપ્પુભાઈ ઠક્કર, કમલેશ ભાઈ ભેમાણી, દીપક ભાઈ ખમાર, ગોવિંદભાઇ નાડોદા, લાલાભાઇ ઠક્કર સહીત કાર્યકરોએ ઉપસ્થિત રહીને સેવાનો લાભ લીધો હતો.
શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણીના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષથી વર્ષમાં ત્રણથી ચાર વખત આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે. સમયાંતરે હિન્દૂ સમાજના તહેવારો આવવાથી જેમ આપણે સજી-ધજીને તૈયાર થઈને ફરીએ છીએ તેમ એ લોકોને પણ તૈયાર કરવામાં આવે છે.છ મહિના પહેલા બિહારના બે મસ્તરામને મોબાઈલ નંબરના આધારે તેમના માતા-પિતાનો સંપર્ક કરીને તેમના ઘરે પરત મોકલી આપવામાં આવ્યા હતા.