કોઈ ખાનગી શાળા કોઈપણ પ્રકારની ફી લીધા વિના શિક્ષણ આપતી હોય તેવા કિસ્સા જવલ્લે જોવા મળે છે. કારણ કે, મોટાભાગના કિસ્સાઓમાં શાળા શરૂ કરી કમાણી થતી હોય છે. પરંતુ ફુલસર ગામે સ્થાપનાકાળથી જ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી દિકરીઓને વિનામૂલ્યે શિક્ષણ અપાય છે. હાલ 102 વિદ્યાર્થીનીઓ ભણી રહી છે.
ગોપનાથના રસ્તે ફુલસર ગામમાં વ્રજભૂમિ વિદ્યાલયે એક નવો ચીલો ચાતર્યો છે. ધોરણ 1થી 12માં કુલ 222 છાત્રો છે. જેમાં 120 છોકરા અને 102 છોકરીઓનો સમાવેશ થાય છે. 102 વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય તદ્દન વિનામૂલ્યે છે, જે આજના સમયે નોંધનીય છે. આસપાસના ખારડી, કોદિયા, બોડકી, ગાધેસર, મંગેળા, વાવડી, ઊંચડી, પાદરી, કેરાળા સહિતના ગામોમાંથી દિકરીઓને શિક્ષણ મળી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી શાળા કાર્યરત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીનીઓની ફી લેવામાં આવતી નથી, પરંતુ આ પ્રકારની સેલ્ફ-ફાયનાન્સ સ્કૂલ ચાલી રહી છે.