કોરોના : અંબાજીની સરહદ છાપરી બોર્ડર સીલ કરાઈ
18z5ZdvQYuQ
છાપરી ચેકપોસ્ટ ૨૨ માર્ચ રાતથી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે : અનેક ટ્રક ચાલકો અટવાયા
અંબાજી
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર દ્વારા તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વિવિધ પગલાં ભરાઈ રહ્યા છે. જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ સહિત જાહેર સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે.ત્યારે ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી થી ફક્ત સાત કિલોમીટર દૂર આવેલ રાજસ્થાન સરહદ પરની છાપરી ચેકપોસ્ટ પણ સીલ કરવામાં આવી છે.
રાજસ્થાન સરકાર દ્વારા લોકડાઉનના આદેશ કરાયા છે ત્યારે રાજસ્થાનને જોડતી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો- બોર્ડર સીલ કરાઈ છે. જે અનુસંધાને અંબાજીથી આબુરોડ જવાના માર્ગ પર આવેલી રાજસ્થાન સરહદ છાપરી ચેકપોસ્ટ પણ ૨૨ માર્ચના રાત્રીથી સીલ કરવામાં આવી છે. આ સરહદ છાપરી ચેકપોસ્ટ ૨૨ માર્ચ રાતથી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા પણ બોર્ડર પર સુરક્ષા જવાનો તેમજ આરોગ્ય કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ કરતા ટેક્સી ર્પાસિંગ વાહનો પર તો સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે. ત્યારે જો કોઈ પ્રાઇવેટ સાધન અંબાજી કે આસપાસ ગામડાના હોય તો તેમને પણ આધારકાર્ડ સહિત જરુરી ડોક્યુમેન્ટ ચેક કરી અને આરોગ્ય ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે રાજસ્થાન બોર્ડર પર તો પૂર્ણ રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં કે ગુજરાતમાંથી રાજસ્થાનમાં જવા દેવામાં આવતા નથી. લગભગ બે દિવસથી કેટલાક ટ્રક ચાલકો રાજસ્થાન બોર્ડર પર અટવાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાય ગુજરાતમાંથી રાજસ્થાનમાં જવાનું હોય માલ સામાન ભરેલો કેટલાય ટ્રક ચાલકો પણ આ રાજસ્થાન બોર્ડર પર અટવાયેલા જોવા મળી રહ્યા છે.