રાધનપુરમાં નગરપાલિકા દ્વારા મોન્સૂન પ્રિ-પ્લાન અંતર્ગત વરસાદી પાણીનો નિકાલ થાય અને લોકોને હાલાકી ના પડે તે માટે શહેરના ૨૪ નાળા અને ૧૪ ગટરો સાફ કરવા માટે રૂ.૩.૨૧ લાખના ખર્ચનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું,અને વર્કઓર્ડર પણ અપાઈ ગયો હતો,પરંતુ વર્કઓર્ડર આપ્યાને એક મહિના જેટલો સમય વીતી જવા છતાંય દસ ટકા ગટરો કે નાળા સાફ થયા નથી.ચાલુ વર્ષે સામાન્ય વરસાદ થયો હોવા છતાંય પાલિકાની નિષ્કાળજીના કારણે આજે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ના થવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સત્તાધારી કોંગ્રેસના કોર્પોરેટરો પણ લોકોની રજૂઆતોના કારણે નારાજ જણાઈ રહ્યા છે. નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવ્યા બાદ હવે લોકોના કામો થશે અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જેવા બાહોશ નેતૃત્વને કારણે લોકોની સમસ્યાઓ ચપટી વગાડતા દૂર થઇ જશે તેવી લોકોને અપેક્ષાઓ હતી,પરંતુ બધી અપેક્ષાઓ પાણીમાં ગઈ છે.ચોમાસુ શરુ થાય તે પહેલા પાલિકા દ્વારા ૧૪ મોટી ગટરો અને ૨૪ મુખ્ય નાળા સાફ કરવા માટે રૂ.૩.૨૧ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું,જેથી આ વર્ષે ગટરો અને નાળા સાફ થશે તેવી લોકોને આશાઓ હતી,પરંતુ ટેન્ડર બહાર પડ્યા બાદ વર્ક ઓર્ડર આપ્યાને એક મહિનો વીતી જવા છતાંય ગટરો અને નાળા સાફ થયા નથી
માત્ર ત્રણ કે ચાર ગટર-નાળા સાફ કરાયા બાદ કોઈ કામગીરી થવા પામી નથી.ટેન્ડરમાં જણાવ્યા મુજબના નાળા અને ગટરોની જાતતપાસ કરવામાં આવે તો આજે પણ એ કચરાથી ભરેલા જણાશે, અને પાણીનો નિકાલ કોઈ સંજોગોમાં થઇ શકે તેવી પરિસ્થિતિ જણાતી નથી.જયારે જે વિસ્તારમાં દલિત અને આદિવાસી લોકો રહે છે તે વલ્લભનગરના નાળાની સફાઈનો સમાવેશ પણ કરવામાં આવ્યો નથી. સત્તાધારી પક્ષ કોંગ્રેસના કોર્પોરેટર સુભાષભાઈ મકવાણાના જણાવ્યા મુજબ તેમના વોર્ડમાં ગંગેશ્વર અને રવિધામના નાળા અને શાહ જમાલશા પીર પાસેની મુખ્ય ગટર એક મહિનો થવા છતાંય હજુ સુધી સાફ કરાઈ નથી.પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે,તેમણે નોટિસ આપવાની વાત કરી છે,પણ હજુ સુધી કઈ થયું નથી.