સાબરકાંઠાના ઢૂંઢર ગામે 14 માસની બાળકી પર પરપ્રાંતીય દ્વારા થયેલા દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતના મજૂરો પર વધી રહેલી હુમલાની ઘટનાઓને પગલે રાજકોટ પોલીસ હરકતમાં આવી ગઈ છે.
જે વિસ્તારોમાં પરપ્રાંતીય લોકો વસવાટ કરી રહ્યા છે, એવા વિસ્તારોમાં જઈને પોલીસ જનતાને સમજાવી રહી છે. પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ગભરાશો નહિ, તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી રહી છે. પાણીપુરીના ધંધાર્થીઓમાં પણ ઉચાટની લાગણી જોવા મળી રહી છે.
રાજકોટ એસપી બલરામ મીણાએ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો રહે છે. પોલીસને પરપ્રાંતીયો સાથે મુલાકાત કરવા પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાનો સીએમ વિજય રૂપાણીએ આદેશ આપ્યો છે.
જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં લગભગ આઠથી દસ લાખ પરપ્રાંતીયો વસવાટ કરે છે.