ઢીમા : બનાસકાંઠામાં નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાના સીલસિલા વચ્ચે થરાદ તાલુકાના રાણેસરી અને દૈયપ થઈ નીકળતી માઈનોર કેનાલમાં પણ વહેલી સવારે ગાબડું પડતા સ્થાનિક ખેડૂતો લાલઘૂમ થઈ ગયા હતા. કેનાલોના કામમાં કોન્ટ્રાક્ટરે આચરેલી ગેરરીતિઓના કારણે કેનાલોમાં વારંવાર ગાબડાં પડતાં ખેડૂતોમાં નર્મદા નિગમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોચે ત્યાં સુધીમાં કેનાલ તૂટી જતી હોઈ ખેડૂતોને પાણીથી વંચિત રહેવું પડે છે.સવારે પડેલા ગાબડાના પગલે કરસનભાઈ પટેલ નામક ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળતા ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા છે. કેનાલોના બાંધકામમાં સિમેન્ટના બદલે રેતી વધારે વપરાઈ હોઈ આવી ઘટનાઓ વધી રહી હોવાના કઆક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે. દૈયપ રાણેશરી કેનાલ બાદ રાછેણા અને એટા માઇનોર કેનાલમાં પણ ગાબડા પડ્યા છે. વાવ તાલુકાની રાછેણા અને એટા માઇનોર કેનાલમાં ગાબડાં પડતાં ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.શુક્રવારે વહેલી સવારે વાવ તાલુકાના રાછેણા ગામની માઇનોર ૧માં વજીર હેમરાજભાઈ ડુંગરાભાઈના ખેતરમાં ૨૦ ફૂટનું ગાબડું પડ્યું હતું જેને લઈ કેનાલના પાણી વેડફાયા હતા.બીજી બાજુ રાણેશરી દૈયપની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં પણ શુક્રવારની વહેલી પટેલ માનસેગભાઈ લાધાભાઇના ખેતરમાં વહેલી સવારે ૨૦ ફૂટનું ગાબડું પડ્યું હતું ને ખેડૂતના વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળ્યાં હતા.આ કેનાલમાં પાણી છોડતા જ કાગળ જેવી કેનાલો તૂટી જતી હોઇ પાણીની રાહ જોતા ખેડૂતોમાં તંત્ર વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે.