પાટણ : જિલ્લા મથક પાટણ ખાતે તારીખ ૨૧જૂનના આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણની પી.કે.કોટાવાલા આટ્ર્સ કોલેજમાં યોજાયેલી વિશાળ યોગ શિબિરને સંબોધતાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે યોગને ભારત તરફથી વિશ્વને મળેલી અનુપમ દેણ તરીકે ઉલ્લેખતાં જણાવ્યું હતું કે, વિશ્વગુરૂ ભારતના ઋષિ-મુનિઓએ વૈદિકકાળથી યોગ થકી માનવજીવનને ખુશહાલ રાખવાનું શ્રેય મેળવ્યું હતું. ભારતની આ મહાન વિરાસતને વૈશ્વિક સ્વિકૃતિ સાંપડી છે. સને૨૦૧૫થી તારીખ ૨૧જૂનને વિશ્વ સ્તરે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું ચાલુ કર્યું છે. ભારતની મહાન પરંપરાને વિશ્વ સ્તરે મૂર્તિમંત કરવાનું શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેમના પ્રયાસોથી યોગ વિશ્વસ્તરે પ્રચલન પામ્યો છે.
યોગ થકી માનવ જિંદગી તંદુરસ્ત-ખુશહાલ અને રોગમુક્ત બને છે. યોગને જીવનશૈલીનો ભાગ બનાવી દૈનિક દિનચર્યા તરીકે અપનાવવો જોઇએ. યોગ, પ્રાણાયામ અને ધ્યાન વ્યક્તિને તેના ‘સ્વ’સાથે જોડે છે. તન, મન, બુદ્ધિ સાથેના જોડાણને યોગ કહે છે.યોગ થકી માણસ ઊર્જાવાન, શક્તિશાળી અને બલિષ્ઠ બની શકે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ ખૂબ મોટી સંખ્યામાં યોગ શિબિરમાં જોડાનાર લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
યોગ ફાર હાર્ટ કૅર થીમ પર યોજાયેલા પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિરમાં મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, સંગઠનનાપ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, શ્રી મોહનભાઈ પટેલ,જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, અધિક નિવાસી કલેક્ટર બી.જી.પ્રજાપતિ અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાશ્રી હરદેવસિંહ વાઘેલા સહિત પ્રબુધ્ધ નાગરિકો, સરકારીઅધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.