આગામી દિવસમાં રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આજે મીઠાઈ અને માવા વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી. સુરત પાલિકાના આરોગ્ય વિભાગની 7-8 જેટલી ટીમો આજે સવારથી જ આ કામગીરીમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો.
રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો રહ્યા છે. રક્ષાબંધનના પર્વને લઈને મીઠાઈની ભરપૂર માંગ રહેતી હોય છે. જેથી આજે આરોગ્ય વિભાગ દ્વારા ભાગળ વિસ્તારમાં મીઠાઈ અને માવાના વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. રક્ષાબંધન પહેલાં મીઠાઈ વિક્રેતાને ત્યાં તપાસ હાથ ધરાતા વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ મીઠાઈ બનાવતા વિક્રેતાને ત્યાંથી માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
રક્ષાબંધનના પર્વને લઈને લોકોમાં અનોખો ઉમંગ હોય છે. આ પર્વને લઈને બજારોમાં અવનવી મીઠાઈઓની બોલબાલા હોય છે. પરંતુ વેપારીઓ મોટો નફો લેવા માટે હલ્કી કક્ષાની મીઠાઈઓ બજારમાં વેચતા હોય છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગે મીઠાઈઓની દુકાનમાં સપાટો બોલાવ્યો હતો. આરોગ્ય વિભાગે સુરતના અમુક જગ્યાએ મીઠાઈના વિક્રેતાઓ ત્યાં જઈને માવાના સેમ્પલ લઈને તેને ફોરન્સિક લેબમાં મોકલ્યા હતા.
ભાગળ વિસ્તારોમાંથી હલકી ગુણવત્તાના માવાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ લોકોની સતત મળી રહી હતી. જેથી આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો. અમુક જગ્યાએથી આરોગ્ય વિભાગને મળેલો અખાદ્ય માવાનો પણ નાશ કરાયો હતો.