ઉંઝા : ઉંઝા નજીકના ઉનાવા ગામે એક સગીરાને ભગાડી જવાના કિસ્સામાં આરોપી સાથે ફોન પર વાતચીત થયાના આધારે એક પોલીસે તપાસઅર્થે બોલાવ્યા બાદ આ યુવાને ઘેર જઈ ઝાડ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતાં આ યુવાનના મોત સંદર્ભે ભારે વિવાદ સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ ઉનાવા ગામે છેલ્લા છ સાત દિવસ પૂર્વે રાવળ જ્ઞાતિનો એક યુવક બીજી જ્ઞાતિની સગીરાને ક્યાંક ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના વાલીએ ઉનાવા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કથિત અરજી સ્વરૂપે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં આરોપી સાથે મરણ જનાર(આત્મહત્યા કરનાર) યુવાન રાવળ રોહિત વિનુભાઈએ વાતચીત કરી હોવાનું કોલ ડીટેઈલ્સમાં બહાર આવતાં તેના આધારે પોલીસે રોહિતને બોલાવ્યો હતો. આ યુવાન પોલીસ મથકેથી ઘેર ગયા બાદ રાતના સમયે અચાનક ઘર આગળ લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરતાં કથિત વિવાદાસ્પદ મોતને પગલે સવારના સમયે ભારે ઉહાપહો મચી ગયો હતો. અને પોલીસ સામે ગંભીર પ્રકારના આપેક્ષો થયા હતા.મૃતક યુવાનના પરિવારજનોએ ઉનાવા પોલીસની કનડગત અને ગેરકાયદે નાણાંની માગણી કરવાથી યુવાને આત્મ હત્યા કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઘટનાને પગલે વિસનગર ડી.વાય. એસ.પી. સહિત જીલ્લાની પોલીસ એજન્સીઓનો સ્ટાફ અત્રે દોડી આવ્યો હતો. અને મૃતદેહને ઉંઝા સરકારી દવાખાને પોસ્ટ માર્ટમ માટે લઈ જવાયો હતો.
દરમિયાન પોલીસ સામે થયેલ ગંભીર આક્ષેપને ઢાંકવા માટે અને સમગ્ર મામલાને રફેદફે કરવા માટે પોલીસે અંદર ખાનગી પ્રયાસો કર્યા હોવાનું લોક જીભે ચર્ચાય છે. સગીરાને ભગાડી જવા બાબતે ઉનાવા પોલીસે આજે મોડેથી ગુનો નોંધીને તપાસ શરૂ કરતાં આ બાબતે લોકોમાં શંકા કુશંકાઓ જાગી છે.
ઉપરોક્ત બનાવની ઉચ્ચ કક્ષાએથી નિથ્પક્ષ તપાસ થાય તો સાચી હકિકત બહાર આવશે તેવું લોકોમાં બોલાય છે.