અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા હાઈકોર્ટના આદેશના પગલે ગત ઓગસ્ટ-૨૦૧૭થી "રખડતાં ઢોરને પકડીને ઢોરવાડામાં પૂરવા માટે 'ઓપરેશન રાઉન્ડ ધી ક્લાેક' શરૂ કરાયું છે. ટ્રાફિકના મામલે થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં રખડતાં ઢોરના અંગે હાઈકોર્ટમાં અવારનવાર તંત્રનો ઊધડો લેવાય છે.
બીજી તરફ સત્તાધીશોની પકડાયેલાં ઢોરનો દંડ, ખોરાકી અને વહીવટીચાર્જમાં ત્રણ ગણો વધારાે સૂચવતી નવી દરખાસ્તે ચર્ચા જગાવી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પશુપાલકો પાસેથી રૂ.૯૭.૪૯ લાખનો દંડ વસૂલાયો હોવાની વિગત જાણવા મળી છે, જે રકમ નવી દરખાસ્તને શાસક ભાજપની મંજૂરી મળવાથી દર વર્ષે રૂ. ત્રણ કરોડે જઈ પહોંચશે.
તંત્રના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૧૪,૬૯૯ ઢોરને પકડાયાં હતાં, જૈ પૈકી ૩૪૫૯ ઢોરને તેમના માલિકો પાસેથી દંડ, ખોરાકી અને વહીવટીચાર્જ વસૂલીને છોડી મુકાયાં હતાં તો ૭૧૫૯ ઢોર પાંજરાપોળ ખાતે મોકલી દેવાયાં હતાં.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ગત તા. ૨૩ જુલાઈ, ૨૦૧૮ની સ્થિતિએ તંત્ર દ્વારા ઢોરના માલિકો પાસેથી રૂ.૨૯.૬૩ લાખનો દંડ વસૂલાયો હતો. જ્યારે આ સમયગાળામાં તંત્ર દ્વારા માત્ર ૪૪૦૭ ઢોર પકડાયાં હતાં એટલે કે દરરોજ ૩૯ ઢોરને પકડવાની કામગીરી કરાઈ હતી, જોકે કમિશનર વિજય નેહરાના આદેશના પગલે હવે દરરોજ ૧૦૦ ઢોર પકડવાની દિશામાં કવાયત આરંભાઈ છે.
જ્યારે ગત જુલાઈ મહિનામાં ૨૩ જુલાઈ સુધીમાં ઢોર પકડીને તે પૈકી ૨૪૫ ઢોરને છોડી મુકાયાં હતાં અને ૬૦૦ ઢોરને પાંજરાપોળ ખાતે મોકલી દેવાયાં હતાં. ગત તા. ૧૭થી ૨૩ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં તંત્રે શહેરમાંથી ૪૩૦ ઢોર પકડીને ઢોરના માલિકો પાસેથી રૂ.૨.૩૪ લાખનો દંડ વસૂલ્યો હતો.
આમ, તંત્રના સત્તાવાર િરપોર્ટની વિગતને તપાસતાં શહેરમાં હજુ રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશમાં હાઈકોર્ટની વારંવારની તાકીદ બાદ પણ ગતિ પકડાઈ નથી તે બાબત પુરવાર થાય છે.