પાલનપુર શહેરના ગોબરી રોડ ઉપર આવેલ હરીનગર સોસાયટીમા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો દરદાગીના મળી કુલ રૂ.૫૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પાલનપુરના હરિનગરમાં રહી છુટક મજુરી કરીને પરીવારનુ ગુજરાન ચલાવતા અંકિતભાઇ ચમનભાઈ ચૌહાણ શનિવારે પોતાના પરીવાર સાથે ચોટીલા દર્શને ગયા હતા. ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનનુ તાળુ તોડીને મકાનમા રહેલ કબાટમાંથી રૂ.૩૦ હજારની કિંમતની બે સોનાની ચેઇન, રૂ.૧૦ હજારની કિંમતની બે સોનાની બુટ્ટી, રૂ.૧૦ હજારની કિંમતનુ મંગળસૂત્ર અને રૂ.૨૦૦ ની કિમતના બે ચાંદીના સિક્કા મળીને કુલ રૂ.૫૦,૨૦૦ ના મુદ્દામાલ માલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
દરમિયાન સવારે જ્યારે મકાનનુ તાળુ તુટેલુ જોવા મળતા આજુબાજુના પાડોશીઓ દ્વારા મકાન માલિક અંકિતભાઇને જાણ કરવામા આવતા મકાન માલિક પાલનપુર દોડી આવ્યા હતા અને ચોરીના બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.