અમદાવાદઃ રાજ્યમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, બે દિવસ વરસાદની આગાહી
<div> અમદાવાદઃ રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા, આજે અને કાલે એમ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર તેમજ દ્વારકામાં વરસાદની આગાહી છે. વરસાદની આગાહીના પગલે ખેડુતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. ૨૭ જાન્યુઆરીના રોજ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે ત્યારે ૨૮ જાન્યુઆરી વડોદરામાં સામાન્ય વરસાદ પડે તેવું જણાઇ રહ્યું છે. ઉપરાંત ૨૮મીએ જામનગર, દિવ સહિતનાં પંથકમાં હળવા વરસાદની આગાહી છે. આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં બાદ ફરીથી ઠંડીમાં વધારો થઇ શકે છે. ૨૦૧૯ અને ૨૦૨૦માં વરસાદના કારણે ખેડુતોને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી છે. ત્યારે આવનાર બે દિવસમાં પણ વરસાદની આગાહીને પગલે ખેડુતો ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં વાતાવરણમાં પલટોના કારણે ખેડુતોના પાકેને ભારે નુકસાન પહોંચી શકે છે. ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર વિવિધ સિસ્ટમો સક્રિય થતા વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે.</div> <div> </div>