રાધનપુર : રાધનપુરમાં ચાલુ વર્ષે ૨૪ ઇંચ કરતા વધુ વરસાદ પડી ચુકયો છે,અને રક્ષાબંધન અને છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઇ જવા પામ્યો છે,જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે,નગરપાલિકા દ્વારા જો આ પાણીનો યુદ્ધના ધોરણે નિકાલ નહિ થાય તો ગંદકીના કારણે મચ્છરો અને જીવજંતુનો ઉપદ્રવ વધી જશે,જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સેવાઈ રહી છે. શહેરના નાગરિકો દ્વારા રજૂઆતો થવા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પ્રમાણમાં વધુ વરસાદ પડ્યો છે,અને નગરપાલિકાના સત્તાધીશો ગયા વર્ષે નહિવત વરસાદ પડ્યો હોવાથી ચાલુ વર્ષે ચોમાસાને લગતી કોઈ જ અગમચેતીની કાર્યવાહી કરી નથી,ના તો વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી છે કે ના ઠેર-ઠેર ભરાયેલા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી છે,જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.આજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઇ જવા પામ્યો છે, અને રીતસર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું છે, હાલમાં વાઇરસની બીમારી ફેલાઈ છે અને જો આ વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં નહિ આવે તો મેલેરિયા કે કોઈ જીવલેણ બીમારી પણ ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે.શહેરના મસાલી રોડ ઉપર આવેલ વિઠ્ઠલનગર, સરસ્વતીનગર, વલ્લભનગર તેમજ ગ્રીનપાર્ક, શીતલ બંગલાઝ, ગાંધીચોકથી નાલંદા વિદ્યાલય જવાનો માર્ગ, ગાંધીચોકથી ભીલવાસ તરફનો માર્ગ, રવિધામ, મહેસાણા રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટી, ગાયત્રી મંદિર પાસેનો ભાગ સહીત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય તેમ છે.નગરપાલિકા દવારા વરસાદી પાણીના નિકાલ ઉપરાંત દવાના છંટકાવની વ્યવસ્થા પણ અત્યારથી જ કરવી જોઈએ તેવી લોકોની માંગ છે.