અમદાવાદઃ હાર્દિક પટેલના બે દિવસના જળત્યાગ બાદ ગઈકાલે એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. આમરણાંત ઉપવાસનો આજે નવમાં દિવસે હાર્દિકનાં આરોગ્યની સ્થિતિ ખૂબ નાજૂક હોવાનું આવ્યું છે. તેની કિડનીમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે અને પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. એસીટોનની માત્રા દિવસેને દિવસે વધી રહી છે.
જો કે,હાર્દિક પટેલના ઉપવાસના આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છાવણી જઈ મુલાકાત કરી હતી. આ પહેલા પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. 1 સપ્ટેમ્બરે સવારે જ હાર્દિક પટેલે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધાન થઈ શકે છે તેવા સંકેતો આવ્યા હતા. મોડી સાંજે ખોડલધામના ટ્રસ્ટીઓ પણ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. વધુમાં જાણવા મળ્યા મુજબ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા યુએનના માનવ અધિકારમાં રજૂઆત કરવામાં આવી છે. સરકાર હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને દુર્લક્ષ સેવી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.