નવા વર્ષે ગુજરાતમાં સીએમ વિજય રૂપાણી સરકારે રાજ્યમાં ૧૮૮૩ કરોડનાં વિકાસ કાર્યોને મંજૂરી આપી દીધી છે. સીએમ રૂપાણીએ રાજ્યની ૬ મહાનગર પાલિકા અને ૭ નગરપાલિકાઓ માટે રૂપિયા ૧૮૮૮ કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જે હેઠળ રાજકોટમાં પાંચ ફલાયઓવર બનાવીને શહેરમાં ટ્રાફિકની સમસ્યા આંશિક હળવી કરવામાં આવશે.રાજકોટમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને લેતાં સીએમ વિજય રૂપાણીએ રાજકોટ મહાનગરમાં પાંચ ફલાય ઓવરબ્રિજના નિર્માણ માટે રૂ. ૨૩૦ કરોડના કામો મંજૂર કર્યા છે. આ કામો હેઠળ રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ રામાપીર ચોકડી પર ઓવરબ્રિજ, નાના મવા ચોકડી પર ઓવરબ્રિજ અને કાલાવાડ રોડ જડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ તેમજ ગ્રીન લેન્ડ ચોકડી પર ઓવરબ્રિજ અને ઉમિયાચોક પાસે ઓવરબ્રિજનું નિર્માણ થશે. આ પાંચ ફ્લાયઓવરને કારણે રાજકોટવાસીઓને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે અને સાથે-સાથે ઈંધણની પણ બચત થશે.આ ઉપરાંત સીએમ રૂપાણીએ ડીસામાં ફ્લાયઓવર માટે ૫૦ કરોડ તો પાલનપુરમાં ૧ ફ્લાયઓવર માટે ૨૮ કરોડનાં કામને પણ મંજૂરી આપી દીધી છે. તો બીજી બાજુ અમદાવાદમાં અમદાવાદ મહાપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે રૂ. ૫૯૯ કરોડ, સુરતમાં રૂ. ૪૭૯ કરોડ તેમજ વડોદરામાં રૂ. ૧૭૯ કરોડ અને રાજકોટમાં રૂ. ૧૪૪ કરોડ તથા જામનગર મહાપાલિકાને રૂ. ૬૫.૫૦ કરોડનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ. ૨૫ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવા સાથે ડાકોર નગરપાલિકાને આગવી ઓળખના કામો અંતર્ગત ટાઉન હોલ માટે રૂ. ૩ કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી હેઠળ પેવર બ્લોક, સી.સી.રોડ માટે સિધ્ધપૂર નગરપાલિકાને રૂ. ૭૫ લાખ, કડી નગરપાલિકાને રૂ. ૨૧ લાખ અને ગોધરા નગરપાલિકાને રૂ. ૪૮ લાખ મળી કુલ રૂ. ૧.૪૪ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.