બનાસકાંઠા જિલ્લામાં થરાદના મહાજનપુરા નજીક પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં જેસીબી તેમજ ચાલક સાથે થયો ગરકાવ પાંચ કલાકની જહેમત બાદ ક્રેન અને તરવૈયા દ્વારા લાશ તેમજ જેસીબીને બહાર કઢાયા હતા.બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠાં થઇ જવા પામ્યાં હતાં.
થરાદ પંથકમાં ચકચાર મચાવનાર કરૂણ બનાવની વિગતો મુજબ બનાસકાંઠા થરાદના ચુડમેર ગામના મુકેશભાઈ બાજુભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 20 ગુરૂવારના સવારના આઠેક કલાકની આસપાસ પોતાનું જેસીબી લઈને મુખ્ય નર્મદા નહેરના રસ્તે મહાજનપુરા પુલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જેસીબીનું આગળનું વ્હિલ (ટાયર) નીકળી જતાં જેસીબી કન્ટ્રોલ ન રહેતા જેસીબી મહાજનપુરા ગામની સિમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરની સાઇડની દીવાલને અથડાતાં દીવાલ પણ તૂટી જવા પામી હતીઅને ચાલક સાથે જેસીબી નહેરમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું. આથી સ્થાનિક ખેડૂતો ઘટના સ્થળે દોડી આવતાં મુકેશના પરિવારને મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવતાં પરિવાર સહિત ગ્રામજનો દોડી આવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને થરાદ નગરપાલિકા તેમજ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ તેમજ નગરપાલિકા ટીમ ફાયરફાઈટર સાથે ઘટના સ્થળે આવી નગરપાલિકા તરવૈયા સુલતાન મીર દ્વારા ગરકાવ થયેલ જેસીબી ની શોધખોળ કરતાં જેસીબી પુષ્કળ પ્રમાણમાં ઊંડા પાણીમાં ગરકાવ હોવાથી બે ક્રેન તેમજ નજીકના અન્ય જેસીબી લાવી 5 કલાકની જહેમત બાદ ક્રેન વડે ઉંચકીને બહાર લવાયુ હતું ત્યારે જેસીબીમાં ફસાયેલ યુવક મુકેશની લાશને બહાર કઢાઈ હતી અને લાશને પી એમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લવાતાં સરકારી હોસ્પિટલમાં ઠાકોર સમાજના અગ્રણીઓ તેમજ સ્નેહીજનો એકઠા થયા હતા.આ બનાવથી ભારે અરેરાટી મચી જવા પામી હતી.