મેમદપુર ગામના દેવીપુજકો દ્વારા દારૂને દેશવટો અપાયો
રખેવાળ ન્યુઝ વડગામ : વડગામ તાલુકાના મેમદપુરમાં દેવીપુજકોએ ભેગા મળી ને દારૂ ને તિલાંજલિ આપી હતી. અને ગુનો કરનારને એક લાખ દંડ તથા કુટુંબમાથી બહાર પણ મૂકવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના મેમદપુર ગામમાં વસતા દેવી પૂજકો મંગળવારે મહોલ્લામાં એકઠા થયા હતા. અને ગામના સરપંચ,તાલુકા પંચાયતના સદસ્ય અને કેટલાક અગ્રણી ઓને બોલાવી દારૂ બનાવવાનું બંદ કરવું અને દારૂને તિલાંજલિ આપી હતી. દારૂની તિલાંજલિ માટે દેવીપૂજક પરિવારના લોકોએ લેખિતમાં લખાણ કરી સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું હતું કે અમારા પરિવારમાથી જે દારૂનું વ્યસન કરે કે બનાવે તો તેમને એક લાખ રૂપિયાનો દંડ અને તેમને મહોલ્લામાથી બહાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આ દારૂબંધી માટે ગામના સરપંચ વશરામભાઈ ભાટીયા,તાલુકા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ રાજપૂત,દેવી પૂજકમાથી સુરેશભાઈ મફાજી દેવીપૂજક, ધર્માંભાઈ દેવીપૂજક,સંપતભાઈ દેવીપૂજક,હીરાભાઈ દેવીપૂજક, ટીનાભાઇ દેવીપૂજક સહિત ગામના અગ્રણીઓ અને દેવીપૂજકના મહોલ્લામાથી ૨૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લેખિતમાં લખાણ કરી દારૂને સમગ્ર દેવીપૂજક પરિવારે તિલાંજલિ આપી હતી.