પાલનપુર શહેરના સોનબાગ વિસ્તારમાં રહેતી એક અસ્થિર મગજની યુવતીએ કુવામાં મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ હતી. પાલનપુર શહેરના સોનબાગ વિસ્તારમાં રહેતા અમરતભાઇ પરમારની 21 વર્ષીય પુત્રી ઉષાબેનએ સવારે સલેમપુરા વિસ્તારમાં દેવાભાઇ વકતાભાઇ માળીની વાડીમાં આવેલા કુવામાં મોતની છલાંગ લગાવી હતી. આ અંગેની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.
દરમિયાન, ક્રેઇનની મદદથી બચાવ કામગીરી હાથ ધરી યુવતીને ત્વરીત બહાર કાઢવામાં આવી હતી. જ્યાંથી યુવતીને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ ઉપરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આ અંગે મૃતક યુવતીના કાકાએ જણાવ્યું હતુ કે, ઉષાબેનના લગ્ન થયા ન હતા. તેણી અસ્થિર મગજની હતી અને દવા પણ ચાલુ હતી. તેણીના આ અંતિમપગલાથી પરિવારજનો શોકમાં ડુબી ગયા છે. દરમિયાન પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.