લોકસભાની ચૂંટણી પહેલા સરકાર રાજકીય પાસા ફેંકતા મોટી જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકાર અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને ઉજ્જવલા ગેસ યોજનાનો લાભ આપવાની તૈયારી કરી રહી છે. આ યોજનાના લાભાર્થી તરીકે ઓબીસી પરિવારોને પણ ગેસ કનેકશન મફતમાં અપાશે. પેટ્રોલીયમ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ઓબીસીનેઉજ્જવલા ગેસ યોજનામાં લાવવાની તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ છે. બસ સરકારની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ત્યાંથી લીલી ઝંડી મળે એટલે ઓબીસી પરિવારોને કનેકશન આપવાના શરૂ થઈ જશે. કેન્દ્ર સરકારે ચાર મહિના પહેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજનાનો વ્યાપ વધારીને લાભાર્થીઓના કેટલાક વર્ગોનો ઉમેરો કર્યો હતો. તેમાં એસસી/એસટી, પ્રધાનમંત્રી આવાસ યોજના, વનવાસી અને અતિ પછાત વર્ગ (એમબીસી) પરિવારોને પણ લેવામાં આવ્યા હતા. અતિ પછાત વર્ગ બિહાર અને તમિલનાડુ સહિત એક બે રાજ્યોમાં જ છે. ઓબીસીમાં ગરીબ પરિવારોને આનો પુરો લાભ નથી મળી રહ્યો. એટલે સરકાર ઓબીસીને પણ આ યોજનામાં સમાવેશ કરવાની તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં ઓબીસી મતદારોની ભૂમિકા મહત્વની રહેશે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપાને ઓબીસી ટેકો મળ્યો હતો. પક્ષ આ વખતે પણ તે સમર્થન ચાલુ રહે તેવી કોશિષ કરી રહી છે. એટલે જ સરકારે બંધારણમાં ફેરફાર કરીને પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો પણ આપ્યો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના હેઠળ સરકાર અત્યાર સુધીમાં ૫ કરોડ ૭૦ લાખ પરિવારોને મફત ગેસ કનેકશન આપી ચુકી છે. મે ૨૦૧૬માં શરૂ થયેલ આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં પાંચ કરોડ કનેકશન આપવાનું લક્ષ્ય રખાયું હતું જે સમય મર્યાદા પહેલા જ પુરૂ કરાયું હતું. હવે સરકારનું લક્ષ્ય ૨૦૨૦ સુધીમાં આઠ કરોડ કનેકશન આપવાનુ છે.