અમેરિકા દ્વારા ઈરાકના બગદાદ એરપોર્ટ પર ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતારવામાં આવતા જ ભારતની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક અને ત્યાર બાદ વધુ એક એરસ્ટ્રાઈકની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી છે. આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબુત મનોબળ અને ધાર્યુ નિશાન પાર પાડવાની કુશળતા અને નિર્ણય શક્તિના પણ દુનિયા ભારોભાર વખાણ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાથી ઘણા જ પ્રભાવિત છે. ટ્રમ્પ તો દુનિયામાં જાહેર મંચ પરથી અનેક વખત કહી પણ ચુક્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ખાસ મિત્ર છે. મહત્વની વાત એ છે કે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે એક મોટી સામ્યતા પણ છે અને તે છે દુશ્મનોને કહીને તેમને ખતમ કરવાની કાબેલિયત.
૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે આવેલા ભારતીય સેનાના કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કરીને ૧૮ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ હુમલો પાકિસ્તાન પ્રેરિત હતો. હુમલા બાદ જ વડાપ્રધાને એક જાહેર રેલીમાં કહ્યું હતું કે, શહીદોની કુરબાની એળે નહીં જાય. અને ભારતે શહીદ જવાનોને ૧૨ દિવસ પણ નહોતા થયા ને ૨૯મી સપ્ટેમ્બરે ભારતીય સેનાના ખુંખાર કમાંડોએ અડધી રાત્રે સરહદ ઓળંગી હતી. સેનાના કમાંડૉની આ ટુકડી પાકિસ્તાનની સરહદ નજીક આવેલા આતંકી કેમ્પ પર ત્રાટકી હતી અને અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
તેવી જ રીતે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનોના કાફલાને નિશાન બનાવીને આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં પણ પાકિસ્તાનનો હાથ હતો. આ હુમલામાં ૪૦ જેટલા સીઆરપીએફ જવાનો શહિદ થયાં હતાં. ત્યાર બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજીત રેલી સહિતના કેટલાક સ્થળોએ જાહેરમાં કહ્યું હતું કે, પાકિસ્તાન બોવ મુટી ભૂલ કરી ચુક્યું છે. તેનો બદલો લેવામાં આવશે. આ સાથે જ ૨૬ ફેબ્રુઆરીની રાત્રે ઈન્ડિયન એરફોર્સના ૧૨ જેટલા યુદ્ધ વિમાનોએ ઉડાન ભરી હતી અને પાકિસ્તાનમાં છેક ૭૦ કિલોમીટર અંદર સુધી ઘુસીને બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર ૧૦૦૦-૧૦૦૦ કિલોના ઘાતક બોમ્બનો વરસાદ કર્યો હતો. જેમાં ૩૦૦ની આસપાસ આતંકીઓ મોતને ભેટ્યા હોવાનું અનુંમાન છે. આમ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડંકે કી ચોટ પર દુશ્મનોને પડકારીને જોરદાર જવાબ આપ્યો હતો. આ હુમલા સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાને ભારતીય સૈન્ય તાકાતનો પરચો પણ આપ્યો હતો.
આવી જ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મોદી સ્ટાઈલથી ઘાતક બદલો લીધો છે. આજે જ અમેરિકા માટે માથાનો દુખાવો બની ગયેલા ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીને રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ખુલી ધમકી આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અમેરિકાએ જનરલ કાસિમ સુલેમાની જ્યારે બગદાદ ઈંટરાનેશલ એરપોર્ટ પર પોતાના કેટલાક ખાસ સેના અધિકારીઓ સાથે વિમાનમાંથી ઉતર્યા કે તુરંત જ અમેરિકાએ એક પછી એક એમ ૪ રોકેટ દાગી તમામને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલો કરી ૨૭મી ડિસેમ્બરે બગદાદ ખાતે અમેરિકાની એમ્બેસી પર કરવામાં આવેલા હુમલાનો બદલો લીધો હતો. ટ્રમ્પે નવા વર્ષે જ સ્પષ્ટરૂપે ચેતવણી આપતા કહ્યું હતું કે, અમારા દૂતાવાસ પર હુમલો કરનારાઓએ ગંભીર પરિણામ ભોગવવા પડશે. અને ગણતરીના દિવસોમાં જ અમેરિકાએ તેનો બદલો લીધો હતો.
આમ અમેરિકાની એરસ્ટ્રાઈક સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉંનાલ્ડ ટ્રમ્પની ચર્ચા જાગી છે.